પથ્થરનીહતી….કુતુબ આઝાદ
Posted in ગઝલ
અમે આંદોલનજીવી…..પ્રકાશ ન. શાહ
અમે આંદોલનજીવી…..પ્રકાશ ન. શાહ
14-02-2021
મરોડમાસ્તરી તો કોઈ એમની કને શીખે : મારો ઈશારો અલબત્ત વડાપ્રધાન મોદીએ અટકવાનું નામ નહીં લેતા કિસાન આંદોલન સંદર્ભે થોડા દિવસ પર ‘આંદોલનજીવી’ એ સંજ્ઞા થકી જે સ્પિન કીધો તે ભણી છે.
સાવ સાદું, તરત જ સમજાઈ રહેતું જો કોઈ એક વાનું હોય તો તે એ છે કે વરસેક પરનું કથિત નાગરિકતા સુધાર કાનૂન સામેનું આંદોલન અને હાલનું કિસાન આંદોલન એ બંનેએ ૨૦૧૪ની મોદી ફતેહ અને ૨૦૧૯ની એથીયે મોટી મોદી ફતેહ સામે અને છતાં સંકેલાવાનું નામ નહીં લેતાં, એથી પોતાને અન્આશ્વસ્ત અનુભવતા સત્તા-પ્રતિષ્ઠાને આ બે આંદોલનોને હસી કાઢવા કે ઉતારી પાડવા આવી સંજ્ઞા રમતી મૂકી છે. જોવાનું એ છે કે વિપક્ષ વર્તમાન સત્તાપક્ષ સામે ખાસ કશી ગજાસંપત વિનાનો વરતાય છે એ જો એક વાસ્તવિકતા છે તો એવી જ એક વાસ્તવિકતા એ પણ છે કે બેઉ આંદોલનોએ ખાસું ગજું કાઢી બતાવ્યું છે. એમાં પણ કિસાન આંદોલન તો ૨૬મી જાન્યુઆરીની બપોર પછી એકદમ જ કેમ જાણે કુંડાળામાં પગ પડી ગયો હોય એમ ઓછું ને પાછું પડી સંકેલાઉં સંકેલાઉં હતું તે પુરાણપ્રશસ્ત દેવહુમા (પોતાની રાખમાંથી ફરી ઊભા થતા) પંખીની પેઠે પ્રભાવક વરતાઈ રહ્યું છે. વિરાટરૂપ દર્શન તે જનતંત્રના સંદર્ભમાં શું, એનો જાણે કે જવાબ જડવામાં છે.
સ્વતંત્ર ભારતે જેપી આંદોલન મારફતે જનવિરાટના સાક્ષાત્કારવત્ એક અનુભવ આ પૂર્વે ચોક્કસ કરેલો છે અને ઇતિહાસમાં ગાંધીઘટના જેવું કશું પૂર્વે થયું હશે કે કેમ એવા સવાલનો કંઈક જવાબ પણ પ્રજાસત્તાકની પહેલી પચીસી ઉતરતે જોયેલો ય છે.
૨૦૧૯ પછીનાં જે બે આંદોલનો આપણે જોઈ રહ્યાં છીએ તે જેપી આંદોલનની સરખામણીએ વિરલ અને વિશિષ્ટ છે. એક તો એમાં કોઈ એવી પ્રતિભા નથી જેને તમે જેપી સદૃશ કહી શકો. જરા દૂરાકૃષ્ટ લાગે પણ વિનોબા નવા સમયમાં પરંપરાગત નેતૃત્વને બદલે ગણસેવકત્વની જે જિકર કરતા એવું કાંક તત્ત્વ અહીં અનુભવાય છે.
નવનિર્માણ આંદોલને, રાજકીય પક્ષ જ્યારે જનતાનું ઓજાર મટી નકરા ઈલેક્શન એન્જિનમાં ફેરવાઈ જાય ત્યારે શું થાય એનો સાક્ષાત્કારક પરચો પ્રજાને કરાવ્યો. ગુજરાત વિધાનસભામાં આજની તારીખ લગીનો અભૂતપૂર્વ બેઠકજુમલો હાંસલ કરતે છતે સત્તા અને જનતા વચ્ચે કઇ હદે અલગાવ હોઈ શકે તે નવનિર્માણ આંદોલનના ઘટનાક્રમે બતાવી આપ્યું હતું. જયપ્રકાશે પોતાની અસાધારણ જીવનસાધનાના ઉજાસમાં એમાંથી તારવેલ તત્ત્વ એ હતું કે સ્થાપિત સંસ્થાઓ, સ્થાપિત પક્ષો અને સ્થાપિત પ્રથાઓની બહારથી જ્યારે લોકશક્તિ પરિચાલિત થાય છે ત્યારે યથાસ્થિતિનાં બળો પર પરિવર્તનનાં બળો સરસાઈ મેળવે છે. એક પા સઘળો રાજસૂય માહોલ તો બીજી પા પ્રજાસૂય પ્રભામંડળ, એવું પરિણામકારક ચિત્ર જેપી આંદોલને સ્વરાજની પહેલી પચીસી ઉતરતે આપણી સામે મૂકી આપ્યું હતું.
જનવિરાટના સાક્ષાત્કારવત્ તો જેપી જેવી પ્રતિભાના પ્રભામંડળવત્ એ અનુભવ દેખીતો ટૂંકજીવી નીવડ્યો હશે; અને ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘને તેમ ચાલુ રાજનીતિમાં પાછા પડેલા બીજા ખેલંદાઓને એણે પ્રતિષ્ઠા આપી હશે; પણ એણે પ્રથા બહારનાં પરિબળો વાટે પરિવર્તનની એક કાલીઘેલી પણ પ્રજાસૂય ધખના અંકે જરૂર કરી આપી.
અહીં ૧૯૭૪-૧૯૭૯ના એ ગાળાની વિગતે ચર્ચા કરવાનો ખયાલ નથી. માત્ર, જેપી આંદોલન અને વર્તમાન આંદોલન બેઉને સાથે મૂકી આપી એમની વચ્ચેના ભેદમાં રહેલી નવશક્યતાઓને સમજવાનો ખયાલ જરૂર છે. જેપી આંદોલનમાં જેમ નવી રાજનીતિના સંકેતો હતા- અને હતા જ – તેમ એક પ્રકારે પથસંસ્કરણ નીયે પ્રક્રિયા એ હતી. ઈંદિરા ગાંધીના એકાધિકારવાદનો વિરોધ પોતાને સ્થાને બરાબર હતો, બરકરાર હતો. પણ સ્વરાજનો જે વિમર્શ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ઉભર્યો, ગાંધીનહેરુપટેલની સ્વરાજત્રિપુટીના શાસનમાં જેનો સ્વીકાર પડેલો હતો અને ભગતસિંહ-સુભાષ સરખી સ્વાતંત્ર્યપૂર્વ ધારાઓ તેમ જેપી-લોહિયા-કૃપાલાણીના સ્વરાજ પછીનાં કૉંગ્રેસબાહ્ય સંચલનો, સર્વમાં જે વાનાં સર્વસામાન્ય પડેલાં હતાં તે દેશના બિનસંપ્રદાયિક-સર્વધર્મસમભાવી સ્વરૂપના અને આર્થિક – સામાજિક ન્યાયનાં હતાં. ઈંદિરા ગાંધીએ એક તબક્કે આ એકંદર વિમર્શને ખોરવ્યો-ખોટકાવ્યો તે સંદર્ભમાં પ્રજાસૂય પ્રતિકાર વાટે પથસંસ્કરણ(કોર્સ કરેક્શન)ની જેપી ચેષ્ટા હતી. સ્વરાજની લડતમાં રાષ્ટ્રનો ખયાલ કોઈ અમૂર્ત વિભાવના કે સંપ્રદાયવાદથી ઉફરાટે વિકસ્યો અને ‘પોલિટિક્સ એઝ પીપલ મેટર’ એ અભિગમનાં બીજ નખાયાં તેની જ તરજ પરનો તાનવિસ્તાર સમાજવાદ અને સર્વોદયની ધારાઓના એકત્રીકરણથી સંભવ્યો હતો. પરમહંસદેવની સર્વધર્મસાધના અને એમની ગાદીએ આવેલ વિવેકાનંદની દરિદ્રનારાયણની સંકલ્પનાએ દેશના ગાંધી-રાજકારણમાં સંપ્રદાયમુક્ત તેમ માનવ્યમંડિત રાષ્ટ્રના ખયાલને ઉપસાવ્યો. નહેરુપટેલનું શાસન હો કે લોહિયા-કૃપાલાણીનો પ્રતિપક્ષ અગર જેપીની લોકનીતિ એમાં આ વિમર્શની વ્યાપક સ્વીકૃતિ છાયાભેદે, ઝોકફેરે હતી તે હતી. ઇંદિરાઈ સામેની (તત્ત્વતઃ જો કે ‘પોલિટિક્સ ઍઝ પીપલ મૅટર’ માટેની) જેપીની લડાઈ આ સંદર્ભમાં પથસંસ્કરણ માટેની સવિશેષ હતી.
૨૦૧૪-૨૦૧૯માં રાષ્ટ્રીય સ્તરે જેની વિધિવત પ્રતિષ્ઠાનો સત્તામંડિત ખયાલ આપણી સામે આવ્યો તે સાવરકર અને ઉત્તર ઝીણાની ફ્રિક્વન્સી સાથે ગળથૂથીગત સંબંધ ધરાવતો હતો અને છે. એની સામેના આંદોલને પથસંસ્કરણ માત્રે નહીં અટકતાં લોકને સ્થાને ‘રાષ્ટ્ર’ ભણીના નવા વિમર્શનો જે વિચારજગન મંડાયો છે એના વિકલ્પે સ્વરાજધારાના અગ્રચરણનો વિમર્શ ઘૂંટવાનો છે. શાહીનબાગ છેડેથી દિલ્હીના અલગ અલગ સીમાડે ખડી થયેલ રાવટીઓ ‘રાષ્ટ્ર’ સરકારની હાટડીઓ સામેના જનવિકલ્પના ઝંડાબરદાર શી છે.
courtesy :Satish Acharya cartoon ; 09 February 2021
એમાં કોઈ જેપી-લોહિયા-કૃપાલાણી દેખીતા હાજર ન હોય પણ એમની હાજરી અને સામેલગીરી ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ની સ્વૈચ્છિક ગિશ્ત છાવણીઓ પરના પેલા ગાંધીકાર્ટૂન શી રૂબરૂ છે કે ‘એ જો હોત તો અહીં જ હોત.’ જેમને કારણે ભારત સહિત વિશ્વમાનવતા સમસ્તની આ નવપ્રસ્થાનયાત્રા સંભવી છે તે મંડળીને બીજો કોઈ વિકલ્પ ન જણાય તો લોકાયની તરીકે જરૂર ઓળખાવી શકીએ. સ્થાપિત વાદો અને તેની આસપાસનાં સરકારસંધાનો(જેમ કે એક કાળનાં રશિયા / અમેરિકા)માં ગંઠાયા વિના નવી ને ન્યાયી દુનિયા માટેની લોકકેન્દ્રી જદ્દોજહદને વરેલી આ જમાત છે. નવરચનાના સિપાહીઓ વચ્ચે અરુણ વૈતાલિક શી તો વૈતાલિકો વચ્ચે સિપાહી શી બૌદ્ધિક કર્મશીલો કે કર્મશીલ બૌદ્ધિકોની આ મંડળી છે. પોતે જે કેડરમાંથી આવી ચાવીરૂપ સંગઠનાત્મક શૈલીએ આંદોલનમાં પડ્યા (અને લાભ્યા) એના કરતાં આ જે એક ન્યારી મંડળી ઊભરી રહી છે એને માટે કદરબૂજની ઈન્દ્રિય હાલના સત્તા-પ્રતિષ્ઠાન કને જણાતી નથી. માત્ર, એની હાંસી કરી શકાય એ પ્રકારે ગ્રંથિમોક્ષની ચેષ્ટા એમની કને હોય તો હોય. ‘આંદોલનજીવી’ સંજ્ઞા એમાંથી આવેલી છે.
ઇંદિરા ગાંધીને સઘળે સી.આાઈ.એ.નાં દર્શન થતાં હતાં ત્યારે એકવાર પિલુ મોદી એમના શ્વાનરત્નને ‘હું સી.આઈ.એ. એજન્ટ છું’ એવો ગલપટ્ટો પહેરાવી સહેલગાહે નીકળ્યા હતા. પણ અબી હાલની મરોડમાસ્તરીની પૂંઠે રહેલી માનસિકતા એટલી સહેલાઈથી હસી કાઢી શકાય એમ નથી. નવા વિમર્શની ફાટતી પ્હો ભીતભ્રાન્ત દિલોદિમાગની પહોંચ બહાર છે તે છે. સત્તા-પ્રતિષ્ઠાન ‘રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ’ પ્રકારની તર્કાતર્કી કરે છે. જેવી કહેશે, ભલાભાઈ, પ્રશ્ન રાજનીતિથી લોકનીતિનો છે … એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02
Posted in ગઝલ
કલમના સથવારે ઊડ્યો છું:….મૂકેશ પરીખ
કલમના સથવારે ઊડ્યો છું:….મૂકેશ પરીખ
મારી જ સાથે હું ઝઘડ્યો છું,
તમે કહો છો હું બગડ્યો છું.
બે સાચી વાત કહેવાઈ ગઈ,
તમે માનો છો હું કરડ્યો છું.
નશો તો કદી ય કર્યો જ નથી,
ટેકો દેવા જતા હું ગબડ્યો છું.
ટોળાં માંહે શોધી રહ્યા મને,
શાંત સાગરમાં હું જડ્યો છું.
હૃદય નિચોવીને આંખ ભીંજવી,
તારણ કાઢ્યું તમે હું રડ્યો છું.
પછાડવાના પ્રયાસ સૌ કરી રહ્યા,
કલમના સથવારે હું ઊડ્યો છું.
ખસી જશે આપોઆપ જ ‘મૂકેશ’,
જરા ખાતરી થશે કે હું નડ્યો છું.
જાન્યુઆરી ૨૬, ૨૦૨૧
e.mail : mparikh@usa.com
Category :- Opinion / OpinionDownload
Posted in ગઝલ
અહેમદ પટેલઃ ગાંધી અટક વિના, કાઁગ્રેસના સૌથી શક્તિશાળી રાજકારણી
અહેમદ પટેલઃ ગાંધી અટક વિના, કાઁગ્રેસના સૌથી શક્તિશાળી રાજકારણી
ચિરંતના ભટ્ટ
30-11-2020
અહેમદ પટેલઃ આંતરિક જૂથવાદને પગલે ગાંધીનગરને બદલે દિલ્હીની વાટ પસંદ કરી
અહેમદ પટેલઃ ગુજરાતનું કયું રાજકારણ આ મૃદુભાષી ચાણક્યને માફક ન આવ્યું?
માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી અહેમદ પટેલની અગ્રિમતાઓ હતી
સાદો કૂરતો પાયજામો અને મંદ સ્મિત એમનો બેઝિક દેખાવ હતો. એક માત્ર એવી વ્યક્તિ જેની અટક ગાંધી નહોતી છતાં ય તે કાઁગ્રેસ પાર્ટી પર રાજ કરતા હતા પણ છતાં ય તે સત્તા પર નહોતા. ભરૂચ જિલ્લાના પિરામણના ખેડૂત પરિવારના આ દીકરાને રાજકારણ સારી પેઠે સમજાતું હતું પણ એમાં રહીને ય એનાથી દૂર રહેવાની અનિવાર્યતા અને આવડત બન્ને તેમનામાં હતી. અહેમદ પટેલની વિદાયથી કાઁગ્રેસ ફરી એકવાર નોંધારી બની છે અને એ પણ એવા સમયે કે જ્યારે કાઁગ્રેસને જોડી રાખે તેવા સોય-દોરા એટલે કે પરોવણી કરી શકે તેવા એક મક્કમ તંતુની તાતી જરૂર છે.
અહેમદ પટેલના કાઁગ્રેસમાં મહત્ત્વ અંગે કોણ નથી જાણતું, પણ તેમનું એ પાસું એવું છે કે તેની વાત કર્યા સિવાય અહેમદ પટેલની વાત ન થઇ શકે. છતાં ય એ મુદ્દે જતાં પહેલાં એક પ્રશ્ન ચોક્કસ કરવો પડે કે ભરૂચના પિરામણનો જે માણસ કાઁગ્રેસમાં ભલભાલનો ડાબો હાથ કે મૅન-ફ્રાઇડે થઇ શક્યો તે ચહેરો ગુજરાતના રાજકારણમાં પોતાનો સિક્કો ન જમાવી શક્યો. શું હતું આમ થવાનું કારણ? ભા.જ.પા.ની પકડ ગુજરાતમાં મક્કમ થઇ એ કારણ તો આ પાછળ હતું જ કારણ કે જ્યાં સુધીમાં અહેમદ પટેલનું નામ ઝળક્યું ત્યાં સુધીમાં ગુજરાતમાં સમીકરણોમાં ફેરફાર થવા માંડ્યા હતા, એટલું જ નહીં પણ અહીં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ પણ હતો કારણ કે અહેમદ પટેલને જ્યારે રાજીવ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ બનાવ્યા, ત્યારે કેટલાક કાઁગ્રેસીઓને પણ કઠ્યું હતું.
અહેમદ પટેલ રાજીવ ગાંધીની નજીક કેવી રીતે આવ્યા તેની વાત પછી કરીએ પણ જ્યારે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રેસિડન્ટ બન્યા ત્યારે ગુજરાતમાં કાઁગ્રેસી નેતાઓમાં મજબૂત નામો હતા. તેમાં માધવસિંહ સોલંકી, સનત મહેતા, ઝીણાભાઇ દરજી, પ્રબોધ રાવળ અને અમરસિંહ ચૌધરી જેવા મોટા માથાનો સમાવેશ થતો હતો. અહેમદ પટેલનું ગુજરાતમાં સ્થાન આ બધાએ ચલાવ્યું ખરું, પણ છતાં ય તેમને જેટલો માનમરતબો મળવો જોઇએ તે ન થયું અને અહેમદ પટેલ જેવા સરળ માણસ માટે આ એક આઘાતજનક પરિસ્થિતિ હતી. ચાણક્યનું બિરૂદ મેળવનારા અહેમદ પટેલને કાવાદાવા, ખેંચાતાણી અને હુંસાતુંસીમાં બહુ રસ નહોતો અને જ્યારે તે સમયના દિગ્ગજો તરફથી માન અને ઉમળકાની ગેરહાજરી વર્તાઇ ત્યારે તેમને સમજાયું કે ગુજરાત કાઁગ્રેસનો જૂથવાદ જ તેની ઊધઇ બનશે. હિંદુત્વનો ચહેરો ત્યારે ગુજરાતમાં ઘુંટાવા લાગ્યો હતો, તે મોદી ફિવરને સારી પેઠે સમજતા હતા, પણ આંતરિક ખેંચતાણમાં ગુજરાતના વરિષ્ઠ કાઁગ્રેસીઓએ મચક ન આપી અને પરિણામ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં પક્ષની આંતરિક વાડાબંધીને પગલે અહેમદ પટેલે એક મક્કમ નીતિ અપનાવી, કાંગ્રેસને નબળો કરનાર દરેક સંજોગ અને વ્યક્તિથી દૂર રહેવું. આ નીતિ તેમણે છેક છેલ્લે સુધી અનુસરી અને જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે પી.વી. નરસિંહા રાવની સામે પડેલા નટવર સિંઘ, અર્જુન સિંઘ, શિલા દિક્ષીત, શિવ શંકર બધાના એજન્ડાને નેવે મૂકીને અહેમદ પટેલે જે મુદ્દા પર ફોકસ કરવાની જરૂર હતી, તેની પર જ ધ્યાન આપ્યું. જો કે એ જ અહેમદ પટેલે વખત આવ્યે સિતારામ કેસરી અને નરસિંહા રાવને અકબર રોડથી વિદાય આપવાનું બીડું પણ ઝડપ્યું. કાઁગ્રેસનો જૂથવાદ અહેમદ પટેલને માફક નહોતો આવ્યો, પણ પોતાની મહત્ત્વાકાંક્ષા જેને ન હોય તેની કટિબદ્ધતાને કોઇ ન પહોંચી વળે. એ જ હિસાબે અહેમદ પટેલ કાઁગ્રેસમાં એ સ્તરે પહોંચ્યા જ્યાં તેમની પાસે કહેવાતી કોઇ સત્તા, ખુરશી, પદવી કે મંત્રાલય નહોતું છતાં ય તેમનું માન યથાવત્ હતું.
અહેમદ પટેલની સફર કાઁગ્રેસમાં સૈનિકથી સેનાપતિ સુધીની રહી. સેનાપતિ રાજાનો સૌથી નિકટનો માણસ હોય છે અને યુદ્ધોના પૂરતા અનુભવ બાદ તે આવનારા સંજોગો ભાખીને માર્ગદર્શન આપે છે. અહેમદ પટેલે આ ભૂમિકા સુપેરે નિભાવી. નિઃસ્વાર્થ હોવું, મહત્ત્વાકાંક્ષા વગરના હોવું પણ રાજકારણમાં હોવું આ બાબતો વિરોધાભાસી છે, અને આ બધું જ અહેમદ પટેલમાં હોવાને કારણે જ તે ખાસ હતા. સોનિયા ગાંધીના કાન અને આંખ બનીને બે દાયકા સુધી સતત તેમની પડખે રહેલા અહેમદ પટેલે બેક સ્ટેજમાં રહીને આખા ય ખેલનો દોરી સંચાર પોતાના હાથમાં જ રાખ્યો હતો. આમ કરવું તેમની ચાહ નહીં પણ તેમને સોંપાયેલી જવાબદારીની હિસ્સો હતો, જેને તે પૂરી રીતે કટિબદ્ધ હતા. દાન ધર્માદા હોય, ધર્મની વાત હોય કે પછી રાજકારણ હોય તેમણે હંમેશાં કોલાહલ વિના, કોઇ પણ દેકારા કર્યા વિના જ કામ કરવાનું પસંદ કર્યું. પોતાનું મહત્ત્વ શું છે તે જાણતા હોવા છતાં ય આ કદાવર છબિનો બોજ તેમના વહેવારમાં લગીરેક વર્તાતો નહીં. તેઓ મોડી રાત સુધી લોકોને મળતા રહેતા કારણ કે તે માનતા હતા કે જેટલા સંબંધો સચવાય, જેટલી મૈત્રી જળવાય અને જેટલો જનસંપર્ક થાય તેટલું બહેતર છે. જેની સાથે વાત કરે તેની સાથે મોકળા મને અને મૃદુતાથી જ વાત કરે તે તેમની યુ.એસ.પી. નહીં પણ સ્વભાવ હતો.
કાઁગ્રેસના આ ટ્રબલ શૂટર પક્ષનો ઇતિહાસ પણ સારી પેઠે જાણતા હતા અને બદલાયેલા સંજોગો અને સમીકરણોમાં આગળ શું થઇ શકે છે તે કળવાની પણ તેમનામાં સમજ હતી. જ્યારે કાઁગ્રેસના સભ્યોએ આંતરિક પુનઃચૂંટણીની માગ કરતો કાગળ લખ્યો ત્યારે સિફતથી આખી વાત ટાળવાની આવડત માત્ર અહેમદ પટેલમાં હતી. તેણે આ રોષે ભરાયેલા એકેએક કાઁગ્રેસી નેતા સાથે અંગત સ્તરે વાત કરી અને વાતનો નિવેડો આવ્યો. સચીન પાયલોટને વાંકુ પડ્યું ત્યારે પણ અહેમદ પટેલે જ ગેહલોતની સ્થાનને નુકસાન ન થાય અને સચીન પણ પક્ષમાં ઠરીઠામ થાય તે રીતે સંવાદ સાધ્યો હતો. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સાથે ગઠબંધન કરાવવામાં દસ દિવસ મુંબઇ રહેલા અહેમદ પટેલનો જ હાથ હતો. ૨૦૦૮માં મનમોહન સિંઘની સરકાર ટાણે યુ.પી.એ. સરકારને સંમતિના મત ઘટતા હતા ત્યારે એ ઘડી સાચવી લેવામાં પણ અહેમદ પટેલે પ્રણબ મુખર્જી સાથે મળીને બાજી સંભાળી હતી.
કાઁગ્રેસમાં જે બધું સાંગોપાંગ પાર પડતું હતું, તેમાં અહેમદ પટેલનો બહુ જ મોટો ફાળો હતો.
સોનિયા ગાંધીને પણ અહેમદ પટેલ પર આંધળો વિશ્વાસ હતો, જેની પાછળ પણ તેમનો મહત્ત્વાકાંક્ષા વિના, કટિબદ્ધતાથી કામ કરવાનો સ્વભાવ જ કામ કરી ગયો. તેમને પોતાનાં કામ અને સંબંધોના નગારાં વગાડવાનો શોખ નહોતો. પરિવાર સાથેનું નૈકટ્ય, કાઁગ્રેસના ઇતિહાસની સમજ ધરાવનાર અને પરિવર્તનનો હિસ્સો રહી ચૂકેલા અહેમદ પટેલ માટે જેટલું કહેવાય તેટલું ઓછું છે.
બાય ધી વેઃ
તેમને કોમવાદી અને બિનસાંપ્રદાયિકની ચર્ચાઓમાં રસ નહોતો. માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી તેમની અગ્રિમતાઓ હતી. એક સમયે તેમને ય એવા આક્ષેપનો સામન કરવો પડ્યો કે મોદીની પ્રગતિ થાય માટે તેમણે ગુજરાતમાં કાઁગ્રેસને નબળી પડવા દીધી, પણ જોવાનું એ છે કે આવા આક્ષેપોની વચ્ચે પણ તેઓ એ કરતા જ રહ્યા જે તેમને કરવું હતું અને પોતાનું મૂલ્ય પોતાનાં કામ થકી જ દર્શાવ્યું. કાઁગ્રેસની સ્થિતિ અત્યારે ધરી વગરના ગોળા જેવી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સોનિયા ગાંધીનો અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ તેમની અગત્યતાને સારી પેઠે ઘૂંટે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 નવેમ્બર 2020
Posted in ગઝલ
Mast Mangera…Dr.S.S,rahi
Posted in ગઝલ
આયતુલકુરશી નો પદ્યાનુવાદ…મરહુમ મુસા બનાતડકેશ્વરી। ..
અલ્લાહ ના ઐક્ય મા દે્વ્ય નથી
ચિરજીવંત છે તે સમ
અન્ય નથી
રક્ષક છે શક એ
માહ્ય નથી
તંદ્રા થી તે ઘેરાતો નથી
નિંદ્રા થી અસ્વસ્થ થાતો નથી
તે સુ્ષ્ટી નો સંચાલક છે
જગ આખા નો સંભાળક છે
તે વિશ્વ સકળ નો પાળક છે
તે તાતહ્ સહુજન બાળક છે
જે વ્યોમ મહી છે તેનું છે
જે ભોમ મહી છે તેનું છે
તેની આગળ વિણ હુક્મ
અરે
કોઇ ની ભલામણ કોણ
કરે
તે માલિક છે જે ચાહે કરે
ના તેને ભલામણ હોય ખરે
તે દ્ષ્ટ અદ્ષ્ટ નો જ્ઞાતા છે
તે દાતા છે જગ તાતા છે
તેના જેવો કોઇ જ્ઞાની નથી
સીમા તેની વિધા ની નથી
સૂષ્ટિ મા તેનો સામી નથી
ગત તેની કોઇએ જાણી નથી
તે ચાહે તેટલું જ્ઞાન દીએ
તે ચાહે તેટલું ભાન દીએ
તેની સત્તા આસન હેઠળ
વ્યાપે છે વ્યોમ ને ભોમ સકળ
સૂષ્ટિ સંરક્ષણ થી એક પળ
તે થાકી શકતો નથી મુદ્દલ
બળવંત છે તે જ્વલંત છે તે
યશવંત મહિમાવંત છે તે
મરહુમ મુસા બના
તડકેશ્વરી।
આયતુલકુરશી નો
પદ્યાનુવાદ
Posted in અછાંદસ
ખરા દિલથી વહ્યાં હો, જેમાં અશ્રુ મારા મૃત્યુ પર, બને તો એ રૂમાલો લાવજો, મારા કફન માટે : – આસિમ રાંદેરી
ખરા દિલથી વહ્યાં હો, જેમાં અશ્રુ મારા મૃત્યુ પર, બને તો એ રૂમાલો લાવજો, મારા કફન માટે : – આસિમ રાંદેરી
Dec 1, 2020 |
ખરા દિલથી વહ્યાં હો, જેમાં અશ્રુ મારા મૃત્યુ પર, બને તો એ રૂમાલો લાવજો, મારા કફન માટે : – આસિમ રાંદેરી
મોહબ્બતના રંગીલા શાયરનું બિરૂદ પામેલા અને “લીલા”ના સ્વપ્ન શિલ્પી તરીકે ઓળખાતા શાયર “આસિમ રાંદેરી”નું મૂળ નામ મહેમૂદમિયાં મહંમદમિયાં સુબેદાર હતું. રાંદેરના જાણીતા કુટુંબમાં ર ડિસેમ્બર, ૧૯૦૪ના રોજ તેમનો જન્મ થયો હતો. આ નસીબદાર શાયરને તેમના વિદ્વાન પિતાની વિદ્વતાના સંસ્કાર મળ્યા હતા અને વિરાસતમાં ઉર્દૂ-ફારસીના અનેક અપ્રાપ્ય કાવ્ય સંગ્રહો-ગ્રંથો ધરાવતું કિંમતી પુસ્તકાલય મળ્યું હતું. આ સાહિત્યના અધ્યયન અને મનનથી તેમણે પ્રેરણાના પીયુષ પીધા હતા. આ અરસામાં અલીગઢના ફારસી ભાષાના ઉસ્તાદ જ. મુનશી ઉમરખાનના માર્ગદર્શન હેઠળ એમણે શાયરી સર્જનનો આગાઝ કર્યો હતો. આસિમ સાહેબ શરૂઆતના તબક્કામાં ઉર્દૂ ભાષામાં શાયરી રચતા હતા. પછી તેમણે ગરવી ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું હતું. તેમની એક કવિતા તે વખતના જાણીતા સાપ્તાહિક “બે ઘડી મોજ”માં ઈ.સ. ૧૯ર૭માં તેના તંત્રી ગઝલ સમ્રાટ “શયદા”એ છાપી હતી.
ઈ.સ.૧૯રપમાં તેમણે તેમના મિત્ર જ. મૌલવી અબ્દુલ રહીમ સાદિક સાથે “સાદિક” નામનું ગુજરાતી માસિક શરૂ કરી પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. ઈ.સ. ૧૯ર૮માં આ શાયરે ઈસ્ટ આફ્રિકાની વાટ પકડી હતી. નૈરોબીમાં તેમણે “અરવિંદ” નામનું હસ્તલિખિત માસિક દોસ્તોના સહકારથી આરંભ્યું હતું તો ઈ.સ.૧૯૩૦માં તેઓ મોમ્બાસાના “કેન્યા ડેઈલી મેઈલ” નામના અખબારના તંત્રી વિભાગમાં જોડાયા હતા.
ભારત આવ્યા પછી ઈ.સ. ૧૯પ૦માં મુંબઈની એક યુરોપિયન કંપનીમાં ચીફ સેલ્સ ઓર્ગેનાઈઝર તરીકે તેમણે વર્ષો પર્યંત નોકરી કરી હતી. તેમણે આ દરમિયાન મુંબઈથી “લીલા” નામના માસિકનો આરંભ કર્યો હતો. ભારે લોકચાહના મેળવેલ આ માસિકના અંકો સતત છ વર્ષ સુધી પ્રગટ થતા રહ્યા હતા. “લીલા” વિશેની ગઝલો-નઝમો-મુકતકોને જબરજસ્ત આવકાર મળતા તેમણે વિદેશની સફર ખેડી હતી. ઈ.સ. ૧૯પ૬માં કોલંબો અને ઈસ્ટ આફ્રિકા તેમજ ઈ.સ. ૧૯૬૧માં માડાગાસ્કર તથા મોરેશિયસનો પ્રવાસ ખેડી ત્યાંની હિંદુસ્તાની જનતાને તેમની શાયરીનું આકંઠ રસપાન કરાવ્યું હતું. ગુર્જર રંગભૂમિના ખ્યાતનામ કલાકાર શ્રી જયશંકર “સુંદરી”ના આગ્રહને વશ થઈ તેમણે “નૂરજહાં” નામના ઐતિહાસિક નાટક માટે પ્રસંગને અનુરૂપ એક ખાસ ગઝલ લખી આપી હતી. કવિ જામનની કંપની માટે આ શાયરે “નગદ સોદો”, “વાસનાનાં વ્હેણ” અને “કાળી વાદળી” નામના નાટકોનો હિંદી ભાષામાં અનુવાદ કરી આપ્યો હતો. તેમની ઉર્દૂ, હિંદી, ગુજરાતી ગઝલો-ગીતોની રેકર્ડ હીઝ માસ્ટર વોઈસે બહાર પાડી હતી. મૂર્ધન્ય સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશીએ સ્થાપેલ સાહિત્ય સંસદના ઉપક્રમે શ્રી આનંદશંકર ધ્રુવના પ્રમુખ પદે મુંબઈમાં કવિ સંમેલન યોજાયું હતું. તેમાં આસિમ રાંદેરીએ “અંધ બાળા” નામની તેમની કવિતા રજૂ કરી હતી. આ કવિતાને આનંદશંકર ધ્રુવે તેમના ત્રિમાસિક “વસંત”માં સ્થાન આપ્યું હતું. પછીથી આ કવિતાને “સાહિત્ય પલ્લવ” નામના પાઠ્યપુસ્તકમાંયે સ્થાન મળ્યું હતું.
તેમના “લીલા” માસિકપત્રમાં છપાયેલી અને દિલની ખૂશ્બુને ફેલાવતી તેમની ૧૦૦ રચનાઓને તેમણે કથા સ્વરૂપનો રંગ આપ્યો હતો. આ રચનાઓનો સંગ્રહ “લીલા” નામથી ઈ.સ. ૧૯૬૩માં પ્રગટ થયો હતો. સળંગ ગઝલ-કથા “લીલા” નામનું આ પુસ્તક ગુજરાતી ગઝલ સાહિત્યમાં પ્રથમ પ્રદાન ગણાય છે. ત્યારબાદ કિસ્મત કુરેશીએ “વિરહિણી” અને મલિક મોહમ્મદે “લજ્જા” નામથી ગઝલકથાનો આવો પ્રયોગ કર્યો છે. આ પછી આપણી ભાષામાં આવું કામ થયેલું જાણમાં નથી. તેમનો બીજો ગઝલસંગ્રહ “શણગાર” ઈ.સ. ૧૯૭૮માં અને ત્રીજો સંગ્રહ “તાપી તીરે” ઈ.સ.ર૦૦૧માં પ્રગટ થયેલ છે. ગઝલના બાબ-ઉલ-મક્કા (પ્રવેશદ્વાર) તરીકે ગણાતા રાંદેરમાં તા.૫ ઓકટોબર, ૧૯૯૧ના રોજ આદરપાત્ર સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના અધ્યક્ષ સ્થાને આસિમ સાહેબનું ભવ્ય સન્માન કરાયું હતું. લોકપ્રિયતા નામના એવોર્ડથી વિભૂષિત આ ઉત્તમ શાયરને તેમની દીર્ઘ સેવા માટે વલી ગુજરાતી એવોર્ડ અને આઈ.એન.ટી.નો કલાપિ એવોર્ડ એનાયત થયો હતો. તેમના સમકાલીન શાયરોમાં આદરભર્યું સ્થાન શોભાવતા આ મુઠ્ઠી ઊંચેરા શાયર ૧૦૪ વર્ષની ઉંમરે પ ફેબ્રુઆરી, ર૦૦૯ના રોજ માદરે વતન રાંદેરમાં ખુદાની રહેમતમાં પહોંચી ગયા હતા. તેમની ગઝલોના ગુલદસ્તામાંથી કેટલાક શેરનું હવે આચમન કરીએ.
મારી ગઝલની મ્હેકથી “આસિમ” હું મસ્ત છું
માન્યું એ ફૂલછાબ નહીં, ગુલછડી તો છે
રાત-દિન એના વિચારોમાં હવે તલ્લીન છું
પ્રેમની લાગી કટારી, રોઉં છું, ગમગીન છું
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વ્હેવાર થાય છે
જ્યારે ઊઘાડી રાતે ન કંઈ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે
એ તારું રૂપ ને નિર્દોષતા ભૂલી નથી શકતો
સ્મરણમાં છે બધુંયે તોય હું સ્પર્શી નથી શકતો
મને ડર છે કે, એમાંથી કશું ઓછું ન થઈ જાયે
છબી છે હાથમાં તારી છતાં ચુમી નથી શકતો.
રાત-દિન શોધું છું આ ખુશ્બો ભરેલા શહેરમાં
એ પીરોજી રંગનો, ખોવાયેલો પાલવ મળે
“આસિમ” કરો ના આમ શિકાયત નસીબની
રૂઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું !
તમારા પ્રેમ-પત્રો જોઉં છું, પાછા મૂકી દઉં છું
હવે એ ભાગ્યના છે લેખ, વંચાઈ નથી શકતા
આ જિંદગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?
તમારા ચાંદની શા હાથ પર મ્હેંદીની આ લાલી ?
અમે જોતા રહ્યા પાણી ઉપર અંગાર સમજીને
પીને પ્રણય-મદિરા “આસિમ” રચી છે ગઝલો
કીધું છે કામ મેં બસ એક જ આ ઉમ્રભરમાં
મજા આવી હતે જો આટલી દીવાનગી હોતે
કે મારી દૃષ્ટિમાં આખું જગત તારી ગલી હોતે
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી
મજા જે હોય છે ચુપમાં તે ચર્ચામાં નથી હોતી
બધાના દર્દમાં પોતાનું દર્દ જે સમજે
મને તો જિંદગી તેની જ જિંદગી લાગી
ફરી ઘર બનાવું છું એના હૃદયમાં
ફરી યાદ આવી છે ખાનાખરાબી
જિંદગીનું રૂપ એવું સર્વવ્યાપક થઈ ગયું
જે મળે છે તે ગમે તે રંગ ભરતા જાય છે
ઝાકળ સમું જીવન હો ભલે વિશ્વબાગમાં
ફૂલો મહીં નિવાસ ઘડી બે ઘડી તો છે
(સૌજન્ય: ગુજરત ટુડે 1 સીસે.2020)
Posted in ગઝલ
નહીંતર જતાં રહો ——ગુલામ અબ્બાસ “નાશાદ”
બે-ચાર કસ લગાઓ,નહીંતર જતાં રહો;
ગાઓ યા ગુનગુનાઓ; નહીંતર જતાં રહો.
શબ્દો, વિવેક, ગરિમા મહેફિલનો પ્રાણ છે;
માણો અને મનાઓ; નહીંતર જતાં રહો.
મંઝિલની છે ધગશ તો જરૂરી નવીન જોશ;
શ્વાસોને હચમચાઓ,નહીંતર જતાં રહો.
મુંઝાયેલો છે કાફલો ને દષ્ટિમાં છો તમે;
કેડી નવી બનાઓ,નહીંતર જતાં રહો.
દીવાલ,બારી,બારણાં,છત ને ફરસ હો ખુશ;
આવો તો એમ આઓ , નહીંતર જતાં રહો.
લોકોને એવું થાય કે માણસ સરસ ગયો;
ગૌરવ લઈને જાઓ, નહીંતર જતાં રહો.
“નાશાદ” ઘરની માંગ રહે છે એવીજ કંઈ;
મુસ્કાન ચહેરે લાવો, નહીંતર જતાં રહો.
Posted in ગઝલ
જળ લગાવી દઉં…..અનિલ ચાવડા
જળ લગાવી દઉં…..અનિલ ચાવડા
(Courtesy: facebook Anil Chavda)
Posted in ગઝલ | ટૅગ્સ:Anil Chavda
અઝીઝ ટંકારવીની નવલકથા એટલે અનુત્તર પ્રશ્નોનો ‘વંટોળિયો’….અવિનાશ મણિયાર
અઝીઝ ટંકારવીની નવલકથા એટલે અનુત્તર પ્રશ્નોનો ‘વંટોળિયો’….અવિનાશ મણિયાર
Pl.click the following image to read.
Posted in આસ્વાદ | ટૅગ્સ:Aziz Taankarvi
ઓછી મળી…….ખલીલ ધનતેજવી
ઓછી મળી…….ખલીલ ધનતેજવી
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
(Courtesy:Sudheer bhatt Facebook wall)
Posted in ગઝલ | ટૅગ્સ:Khaleel Dhantejvi
શું ફરક પડે……..શબ્બીર મીચલા
શું ફરક પડે……..શબ્બીર મીચલા
(Courtesy: Facebook Shabbir meechla)
Posted in કવન | ટૅગ્સ:Shabbir Michlaa
એક સાંધે ત્યાં તેર તૂટે છે…..અઝીઝ ટંકારવી
Posted in ગઝલ | ટૅગ્સ:Aziz Taankarvi
તરડાય છે મારું વજૂદ………..મનસૂર કુરેશી
તરડાય છે મારું વજૂદ………..મનસૂર કુરેશી
Posted in ગઝલ | ટૅગ્સ:Masur Qureshi
કાગઝ કા ગુલાબ……ડો.એસ.એસ.રાહી
Posted in શાયરી | ટૅગ્સ:Dr.S.S.Rahee
શ્રેણીઓ
- All categaries
- Article
- અછાંદસ
- અનુવાદ
- અન્ય
- અભિપ્રાય
- આધ્યાત્મિક
- આસ્વાદ
- ઇતિહાસ
- ઈતર
- ઈસ્લમિક સ્થાપત્ય
- કટાક્ષ
- કતઅ
- કલા
- કવન
- કવિતા
- કાવ્ય
- કાવ્ય સંગ્રહ
- કુરાન
- કુરાનિક સાહિત્ય
- કેલીગ્રાફી
- ગઝલ
- ગદ્ય
- ગીત
- ગુજરાતી ગઝલ(નઝમ)નું કાફિયા શાસ્ત્ર.
- ચર્ચા
- ચર્ચા,અભિપ્રાય
- છંદ
- છંદ*પિંગળ શાસ્ત્ર
- જોકસ
- ટિપ્પણી
- ટુંકી વાર્તા
- ટૂચકા
- તઝમીન
- તઝ્મીન
- નઝમ
- નવલિકા
- ના’ત
- નાત
- નિબંધ
- પદ્ય
- પદ્યાત્મક અનુવાદ
- પરિચય*જીવન
- પરિચય_જીવન*કવન
- પારિતોષિક
- પ્રશસ્તિ કાવ્ય
- પ્રેરક પ્રસંગો
- મર્સિયા
- માહિતી
- માહિતી લેખ
- મુકતક
- મુશાયરો
- રૂબાઈ
- લઘુ કથા
- લઘુ વાર્તા
- લતીફા
- લેખ
- વાર્તા
- વિવેચન
- વ્યંગ
- શબ્દાંજલિ
- શાયરી
- શેર
- શૌક કાવ્ય
- સત્ય ઘટના
- સમાચાર
- સમીક્ષા
- સોનેટ
- સ્તુતિ કાવ્ય
- હઝલ
- હાસ્ય
- હાસ્ય લેખ
- Gazal
- Gazhal_wafa
- Gujarati Gazhal
- Gujarati Poetry
- Gujarati Shayri
- Hadith
- Information
- Jokes
- Lecture
- Mushayera
- Naat
- Nazam Urdu
- News
- Opinion
- Short story
- Speech
- Urdu Gazhal
- Urdu Ghazal
- Urdu Mushayera
- Urdu Nazm
- Urdu poetry
- Urdu Prose
આપના પ્રતિભાવ