Posted by: bazmewafa | 08/14/2011
ડો.અદમ ટંકારવી ને એનાયત થયેલ આઈ એન ટીનો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ–મુંબઈ સમાચાર

ખ્યાતનામ ગુજરાતી કવિ-ગઝલકારઅને શિક્ષણવિદ જનાબ ડો.અદમ ટંકારવી સાહેબ ને આજે એનાયત થયેલ આઈ એન ટીનો પ્રતિષ્ઠિત કલાપી એવઓર્ડ બદલ બઝમે વફા પરિવાર દિલી મુબારકબાદી અર્પણ કરે છે.
અને દુઆ ગુજારે છે કે અલ્લાહ જલ્લેશાનહુ એમને લાંબુ આયુષ્ય અતા ફરમાવે અને દિન અને સાહિત્યની વધુ ને વધુ સેવાઓ એમના તરફથી મળતી રહે.(આમીન)
જડી છે એક લાવારિસ ભાષા, હું એનો દાવેદાર શોધું છું.
અદમ ટંકારવી
|
ચિટચેટ – નંદિની ત્રિવેદી
આઈએનટીનો પ્રતિષ્ઠિત કલાપી અૅવોર્ડ આજે જેમને મળવાનો છે એ અદમ ટંકારવી મૂળ ભરૂચ પાસેના ટંકારિયા ગામના. મુંબઈની જયહિન્દ કૉલેજમાં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી સાથે એમ.એ. કરીને ત્યાંની જ જીવનભારતી સ્કૂલમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. એ પછી વલ્લભવિદ્યાનગરમાં ૨૧ વર્ષ અંગ્રજીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૯૧માં બ્રિટનની સ્કૂલમાં હેડ ટીચર તરીકે નોકરી મળતાં ત્યાં જ સ્થાયી થયા. એ પછી ત્યાંની પ્રેસ્ટન કૉલેજમાં લેકચરર તરીકે પણ જૉબ કરી. અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ટંકારવી સાહેબે પહેલી ગઝલ પંદર વર્ષની વયે લખી હતી. તેમના આઠ ગઝલસંગ્રહ બહાર પડ્યા છે. ગુજરાતી ભાષા પરત્વે ઊંડી નિસબત ધરાવતા અને તેના લુપ્ત થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેઓ કહે છે, ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણીફૂટ બોલનાર શોધું છું, જડી છે એક લાવારિસ ભાષા, હું એનો દાવેદાર શોધું છું, ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છે. ગુજરાતી પ્રેમ વિશેનો તેમનો આ શેર પણ સરસ છે ઃ ગુર્જરીના કોડ પૂરા થઈ ગયા, લ્યો ગઝલના હાથ પીળા થઈ ગયા. મળીએ અદમભાઈને.
—– મુખ્ય શોખ:
વાચન, કવિતા સર્જન, પ્રવાસ અને ગમતી વ્યક્તિઓ સાથે ગોષ્ઠિ.
પ્રિય સાહિત્યિક કૃતિ :
મર્ચન્ટ ઓફ વેનિસ, ધ વેસ્ટલેન્ડ, સૌરાષ્ટ્રની રસધાર, મરીઝનો સંગ્રહ ‘આગમન’, રમેશ પારેખનું ‘છ અક્ષરનું નામ’ અને રૂમીનું ‘મષ્નવી’.
પ્રિય લેખકો:
શેક્સપિયર, ઝવેરચંદ મેઘાણી, જ્યોતીન્દ્ર દવે અને રતિલાલ બોરીસાગર
પ્રિય કવિ :
વર્ડઝવર્થ, ટી.એસ.એલિયટ, રમેશ પારેખ અને આધુનિક કવિમાં હરીશ મીનાશ્રુ. જુલી બોડન નામની અંગ્રેજ કવિયત્રીની કવિતા પણ ગમે છે. એની કવિતાઓનો ગુજરાતી અનુવાદ મેં કર્યો છે, જેનું નામ છે ‘અહીંથી’.
પ્રિય સંગીત અને સંગીતકાર:
ફિલ્મી ગીતો તો સૌથી વધુ પ્રિય. યુવાનીમાં તો એ જ ગમતાં. હવે ગઝલ સાંભળવી વધારે ગમે છે. સમય મળે ત્યારે નુસરત ફતેહઅલીખાં અને બેગમ અખ્તરને સાંભળું છું.
મનગમતી ફિલ્મો :
વીસેક વર્ષથી ફિલ્મ જોવાનું જ બંધ કર્યું છે. બધામાં એક જેવી ફોર્મ્યુંલા હોવાથી હવે કુતૂહલ નથી રહ્યું. છતાં જૂની દેવદાસ, પ્યાસા, મુગલ-એ-આઝમ ફિલ્મો ઘણી ગમી હતી અને અંગ્રેજીમાં ટેન કમાન્ડમેન્ટ્સ.
પ્રિય વાનગી:
મને સાદું જ ભોજન ગમે. જમવામાં મગ હોય ને શાક પાલકનું હોય તો બસ થઈ ગયું. ક્યારેક ગાંઠિયા અને બ્રિટનમાં રહું છું એટલે ત્યાંની ચિપ્સની મજા લઈ લઉં.
તમારે માટે સ્ટ્રેસબસ્ટર શું?
સ્ટ્રેસ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતો જ નથી. ટાઈમ મેનેજમેન્ટ બરાબર સમજું છું. છતાં ક્યારેક તાણ જેવું લાગે તો વાંચવા બેસી જાઉં એટલે તાણ દૂર.
પ્રિય પ્રવાસસ્થળ:
નાયગરા ફોલ્સ. શું ભવ્ય એની સુંદરતા છે! આદિલ મન્સુરી અને અમે મિત્રો છેલ્લે ત્યાં ગયા હતા ને ખૂબ મઝા કરી હતી. આદિલનો પ્રતિભાવ જોવાનીય મજા અલગ. બાકી, ભારતમાંય ઘણાં સૌંદર્યધામ છે. પણ ગુજરાતનું પાવાગઢ મને ઘણું ગમે.
મનગમતી સાંજ એટલે શું?
આમ તો ઘરમાં બેસીને વાંચવું જ ગમે પણ અમારા બ્રિટનમાં સાંજ જેવું લાગે જ નહીં. આખો દિવસ ધૂંધળો જ હોય. પણ ખુલ્લો દિવસ હોય ત્યારે હરિયાળાં વૃક્ષો વચ્ચે સાંજે લટાર મારવી ખૂબ ગમે.
પ્રેમ એટલે શું?
મારી ગઝલોમાં ઈશ્કેમિજાઝી-લૌકિક પ્રેમની અભિવ્યક્તિ ઘણીવાર થઈ છે. જેમકે એક શેર છે, એક તારું નામ લખતાં આવડ્યું, તે પછી તો સ્લેટ આ કોરી રહી. બીજો એક શેર છે, ને હવે તારા વિનાના મહેલ પર, ધૂળધાણીની ધજા ફરક્યા કરે. વર્ષો વીતતાં ઈશ્કેમિજાઝી પરથી ઈશ્કે હકીકી ગઝલ પર ધ્યાન કેનિ્દ્રત થયું. હવે લૌકિક સ્તરેથી હટીને પરમ તત્વ તરફની ગતિ અનુભવાય છે. પ્રેમની સર્વોચ્ચ કક્ષા!
જીવનસંગિની કેવી ગમે?
મારા જન્મ પહેલાં જ મારું લગ્ન ગોઠવાઈ ગયું હતું, હવે શું કહું તમને કે મને કેવી પત્ની ગમે? (હસીને કહે છે) મારી પત્ની મારાથી નવ મહિના મોટી છે. એ જન્મી ત્યારે એના પિતાએ મારા પિતાને કહ્યું કે તમારે ત્યાં દીકરો આવે તો આ બન્નેનાં લગ્ન કરશું. ને એમ જ થયું. સદ્નસીબે મને ગમે એવી જ મારી પત્ની છે એટલે લગન ટકી પણ ગયું. હું માનું છું કે બાહ્ય દેખાવ અગત્યનો નથી. માનસિક-ભાવનાત્મક વેવલેન્ગ્થ બરાબર હોય તો સંબંધ સચવાઈ જાય.
તમારે માટે સૌથી મૂલ્યવાન શું?
પરમતત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય એ મારે માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહીએ પણ દુનિયાના નહીં-અલિપ્ત રહીને કર્મ કરતાં રહેવાનું.
પુનર્જન્મમાં શું બનવાનું પસંદ કરો?
માનતો નથી. આ જન્મમાં જ જે કંઈ આત્મસુધારણા થઈ શકે એના પર ધ્યાન કેનિ્દ્રત કરવું છે.
(સૌજન્ય:મુંબઈ સમાચાર -15ઑગસ્ત 2011)
ડો.અદમ ટંકારવીના પરિચય માટે નીચેનું URL કલીક કરવા વિનંતી:
ડો.અદમ ટંકારવીની રચનાઓ બજઝમે વફા માં વાંચવા નીચેના એંડેક્ષ પર કલીક કરવા વિનંતી
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, પદ્યાત્મક અનુવાદ, મુકતક, મુશાયરો, રૂબાઈ, શાયરી, શેર, Gazal, Gazhal_wafa, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, Information, News | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ડો.અદમ ટંકારવી, પરિચય_જીવન*કવન, મુશાયરો, શાયરી, શેર, Dr.AdamTankarvi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri
આપના પ્રતિભાવ