આઠ-વરસી ચૂપકીદીને ચીરતી એક ચીસ / દુષ્યન્ત પંડ્યા
‘ઝીણો પણ સાપનો કણો’ એ જૂની કહેવતને અદમ ટંકારવીની માત્ર ત્રીસ કાવ્યોની અને સિત્તેર પૃષ્ઠોની કાવ્યપુસ્તિકા ‘ઓથાર’ સાચી પાડી બતાવે છે. વર્તમાન ગુજરાત સરકારે જેને મંત્રીપદે બેસાડીને સન્માન કર્યું હતું અને પોલીસવડાના જે અમલદારોને ઉપરી પાયરીએ ચડાવવામાં આવ્યા હતા તે ‘મહાન’ વ્યક્તિઓ સળિયા પાછળ બેસી આરોપીઓ તરીકેનું સન્માન મેળવી રહી છે બરાબર તે સમયે, ગુજરાતની ત્રસ્ત લઘુમતીની વેદનાની ચીસો સંભળાવી ગુજરાતના બધિર બની ગયેલા આત્માને આ નાની પુસ્તિકા સાપના કણાની જેમ ડંખી ને જડ બની ગયેલા લાગતા આત્માને પુનઃ જાગૃત કરવાનું કાર્ય કરે છે.
પ્રસ્તાવનામાં ડંકેશ ઓઝાએ ચીંધી બતાવેલા ‘એક ગ્રામ સત્ય’માં ‘સાંપ્રત સમસ્યા’ તરફ ગુજરાતનો લગભગ સમગ્ર વિવર્ગ જ નહીં પણ,પોતાની જાતને મસમોટી દીવાદાંડી સમી માનનાર ‘મહાન’ ચિંતકો પણ અખા ભગતની ઘુવડની નાતમાં ભળી જઈ પોકારે છે ઃ ‘તમે આવા ડાહ્યા ક્યાંથી થયા? અમારાં સો વર્ષો શું અંધારે ગયાં ?’
આવા મહાપુરુષોની ઘુવડદૃષ્ટિએ જોસેફ મૅકવાન, નીરવ પટેલ કે અદમ ટંકારવી જેવાએ નિર્દેશેલી ગુજરાતની પ્રજાના મોટા વર્ગની ચીર વગરની નિર્વસ્ત્ર હાલત ક્યાંથી નજરે પડે ? ત્રીસ કાવ્યોનો આ નાનકડો સંગ્રહ ‘ઓથાર’ એ અંધારયુગ પર સર્ચ લાઇટના ઝબકારા કરી એ અંધકારને ચીરવાનો બલિષ્ઠ પ્રયાસ કરે છે ને તેથી આવકાર્ય છે.
ટંકારવીએ કહ્યા પ્રમાણે, વખારમાંના કાગળની થપ્પી જેટલી કવિતા ‘સમાજાભિમુખ કવિતા’ નથી. જે કવિતા ‘કુંડાળું’ છોડી શકતી નથી તે ‘સમાજાભિમુખ કવિતા’ નથી. બબ્બે પંક્તિઓની કડીએ કડીએ અર્થના ઠેકડા મારતી કવિતા તત્કાલ પૂરતું સભારંજન કરાવી તાળીઓના ગડગડાટથી વધાવાતી હશે. પણ ડંકેશઓઝાએ જણાવ્યા મુજબ એ કવિતા ‘વિશ્વશાંતિ’ની માફક સમાજને સ્પર્શતી નથી.
અઢારમી સદીના અંતિમ દાયકાની પૂર્વસંધ્યાએ ફ્રાન્સમાં ક્રાંતિનો બુંગિયો વાગ્યો. તેનો અવાજ રેડિયો-ટેલિવિઝન વગરના તો ઠીક, તારટપાલનીયે પૂર્વેના એ જમાનામાં ઇંગ્લંડમાં વસતા કવિ વર્ડ્ઝવર્થના યુવાન કાનને સંભળાયો હતો તેમ, બિલ્કીસબાનુ પર થયેલા બળાત્કારથી એ ઓરતે પાડેલી ચીસ ગુજરાતને કાને ન પડે તે માટેના બધા સરકારી પ્રયત્નો છતાં, ‘ચૂપકીદીને ચીરતી એક ચીસ’ કવિનું શ્રવણયંત્ર અને હૃદયતંત્ર પણ ઝીલી શકે છે.
સંગ્રહનું ત્રીજું કાવ્ય ‘કર્મરુદીન’ નરોડા પાટિયા પાસેના વિસ્તારની એક વેદનામય કારુણિકા તરફ આંગળી ચીંધે છે. ‘ગર્ભવતી બાળાનું ઉદર ચીરી કાઢેલા બાળકને ટોળાએ ખાડામાં ફંગોળેલું’. કેવા તો પરાક્રમીઓ એ ટોળામાં હશે ? એ મૂક બાળકનો આત્મા પોકારી ઊઠતો કવિને સંભળાય છેઃ
યાદ છે એને
ટોળામાંનો એકએક ચહેરો
દ્વારે ઊભો રાખી પહેરો
છે એ સૌની ગતિ-દુર્ગતિ એ જ દિશામાં
ભલે થાય રમમાણ હજુ રમખાણ નશામાં
ઘડી બે ઘડી છોને આઘાપાછા
અંતે કર્મરુદ્દીન એમને આંબી જાશે
‘ભાષા’ કાવ્યમાં ટંકારવીએ અશ્રુહીન રુદન સંભળાવ્યું છે ઃ
આંતરડી પણ ભાષાવિદ્ છે
ઠારો તો
બોલે છે શીતળ વાણી
કકળાવો તો
વદે વચન ધૂળધાણી
શબ્દાળુ ભાષાને વળગે ભૂર
આંતરડીની ભાષાથી એ દૂર
રાજયકર્તાઓ અને જેમના પ્રતિનિધિત્વનો એ દાવો કરે છે તે ભાજપા, વિહિપ, બજરંગદળ અને હિન્દુ સેવક સંઘ ત્રિશૂળો વહેંચવાનાં અને વાપરવાના કાર્યમાં એટલા તો વ્યસ્ત હતાં કે એમની આંતરડી જડ પથ્થર જેવી હતું.અને મોટી શરમ પણ. પોતાની આંતરડી પર મોટો પહાડ મૂકીને ટંકારવીએ આ કાવ્યો લખ્યાં જણાય છે. તેમાંથી પસાર થતા અને સમગ્ર ઘટનાક્રમને સંભારતા કોઈનેય લાગે કે રાજયના પાટનગરના નામમાંથી ‘ગાંધી’ને હટાવી લેવો જોઈએ. હસમુખ પાઠકની પંક્તિઓમાં થોડો ફેરફાર કરી કહી શકાય કે-
આટલી આગો બળે ત્યાં
આટલી લાશો ઢળે ત્યાં
હાથ જોડી, શાંત ચિત્તે
ગાંધી કદી ઊભો ન’તો
ઓથાર ઃ ૨૦૦૨, અદમ ટંકારવી, ગુજરાતી રાઇટર્સ ફોરમ,
૨૭ જેઇમ્સ સ્ટ્રીટ, બાટલી (યુ.કે.); સંપર્ક ઃ અઝીઝ ટંકારવી, કબીર ફળિયુ,
મુ.પો. ટંકારીયા, ૩૯૨ ૨૪૦
(૧માર્ચ ૨૦૧૦ ૦૧૦-નિરીક્ષક)
આપના પ્રતિભાવ