સંભારણું કહે-રતિલાલ ‘અનિલ’
લોહી નીગળતા હાથનું ‘ઓવારણું’ કહે,
ઇતિહાસ રકતપાતને ‘સંભારણું’ કહે !
વેરાનમાં વંટોળિયો સૂસવે ઘણું કહે:
કેવી રીતે મને હું પછી સાંભળું કહે!
હુંકાર સાથે ‘હું’ નો બધો શોર ચોતરફ,
બોલે તો કોણ , કોન વળી ‘આપણું’ કહે !
કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી અહીં,
રાતે ધીમે બીડાતું એવું ‘બારણું’ કહે.
દિલાવરીના એવા શબ્દ શું ગયા , ગયા?
કે કોઈ ધીકતી આગને પણ ‘તાપણું’ કહે !
સાંભલ હવે કહેવાય છે કળિયુગની ગીતા:
જંગલિયતને ‘સંસ્કૃતિનું પારણું’ કહે !
પદરવ ગયો ને પૂજવાને પાદુકા રહી…
કે ચાલવાનું ક્યાં હવે? તું ‘બેસણું’ કહે !
કેવી રીતે જીવીશ ક્યામત સુધી ‘અનિલ’ ?
’નિજને હણું, નિજને હણું, નિજને હણું’, કહે!
(સૌજન્ય:અલવિદા!.પૃ.173)
આપના પ્રતિભાવ