Posted by: bazmewafa | 07/21/2010

કવિ ચિનુ મોદી ગુજરાતી ભાષાના એક ચળક ચળક થતા મોતી છે-જય ગજ્જર



ખૂશ આમદીદ ચિનુ મોદી ઊર્ફે ‘ઈર્શાદ’-બઝમેવફા

કવિ ચિનુ મોદી ગુજરાતી ભાષાના એક ચળક ચળક થતા મોતી છે-જય ગજ્જર

ગુજરાતી ભાષામાં ગઝલને એક આગવું સ્વરૂપ આપનાર તરીકે  ચિનુ મોદી, આદિલ મન્સુરી અને મનહર મોદીનાં નામ આંખ સામે રમી રહે છે. જો કે ગઝલ ક્ષેત્રે સીમાચિહ્ન પ્રદાન કરનાર  ચિનુ મોદી જુદા તરી આવે છે એમના સર્જનની વિવિધતાને કારણે. એ માત્ર ગઝલકાર જ નથી રહ્યા. રાધેશ્યામ શર્માના શબ્દોમાં કહું તો “કવિતા-ગઝલ-નાટક-નવલકથા- -નવલિકા ક્ષેત્રે કવિ ચિનુ મોદીનું નામ એક ચળક ચળક થતા મોતી જેવું છે.” સાહિત્યના અનેક ક્ષેત્રે એમણે ઝંપલાવ્યું છે અને અનન્ય સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ગઝલકાર છે તો ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ કવિ છે. સુરેશ દલાલના શબ્દોમં કહું તો, ‘ચિનુની કદમ કાચીંડા જેવી છે. ગઝલ, અછાંદસ, સોનેટ, ગીત, દીર્ઘકાવ્ય આ બધામાં આસાનીથી એ ધાર્યાં પરિણામ લાવી શકે છે.”

આ બહુમુખી સાધકને  હું ૧૯૬૩થી ઓળખું છું. ‘કુમાર’ કાર્યાલયમાં ચિનુભાઈ, આદિલ, મનહર અને  ઘણા બધા મિત્રો દર બુધવારે મળતા. સાહિત્યિક ચર્ચા કરતા. ચિનુભાઈ કવિતાનો જીવ છે. સાચું કહેવામાં કદી અચકાતા નથી. એમની હસમુખી પ્રતિભા મિત્રો સહેલાઈથી બનાવી દે છે. મિત્રોને સાચું માર્ગદર્શન પ્રેમથી આપે છે. સારા સર્જનને હંમેશ બિરદાવતા રહ્યા છે.

ગુજરાત વિધાપીઠમાંથી પીએચ.ડી.ની પદવી મેળવનાર ચિનુભાઈ પ્રથમ હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. એ બહુશ્રુત વિદ્વાન છે. ગુજરાતી ભાષાના પ્રખર ચાહક અને અભ્યાસી છે. એમના માર્ગદર્શન નીચે ઘણાએ સંશોધન કરી ડોકટરેટની પદવી મેળવી છે. ચિનુભાઈને એમના સર્જન માટે અનેક પારિતોષિકો મળતાં રહ્યાં પણ એનો ગર્વ કદી નથી અનુભવ્યો.   

એ જિંદદિલ જિંદગી જીવ્યા છે. એમના જ શબ્દોમાં કહું તો

 

ઠાઠ ભપકા એજ છે

ઈર્ષાદના,

ઘર બળે તો તાપી જોવું

જોઈએ

“રે”, કૃતિ અને શ્રીરંગ વગેરેના સંપાદક રહી ચૂકયા છે. સાઠ ઉપર પુસ્તકો લખ્યા છે.  રમેશ પારેખે એમને કાવ્યમાં ઝીલ્યા છેઃ

નવલકથાના કોઈ નાયકની જેમ સદા

સાહિત્યનાં સર્વ તીર્થ પગપાળા ઘૂમે

કવિતાયે મધ જેમ પીવે અને ઝૂમે

બાંધી શકે નહિ એને કોઈ પણ જેલ

નાટક તો એને ડાબા હાથતણો ખેલ

ચશ્માંમાંથી પ્રેમભરી આંખે જુએ જેને

નખશીખ પોતીકો બનાવી દીપે એને.

 

પોતીકો બનાવી દેવાની એમની કળાનો મને જાત અનુભવ છે. મારી પહેલી નવલકથા પ્રગટ થયા પછી મને મળે કે કોઈ મારા વિષે પૂછે તો ‘ફૂલડે ફૂલડે ફોરમ’ વાળા જય ગજજર જેવા હુલામણા શબ્દોથી મને નવાજે.

આવા મિત્ર કવિને કોણ નથી ઓળખતું?  ચિનુભાઈ મોદી, આપણા બહુમુખી સર્જક, કવિ, વિવેચક, નાટયલેખક  અને ગુજરાતી ભાષાનું અનોખું ગૌરવ છે.

ચિનુભાઈએ થોડા દિવસ પહેલાં વિધાન કર્યું કે ‘ગુજરાતીઓ કવિતાથી ભડકે છે, પણ ગઝલ ગુજરાતીઓના દિલને અડકે છે.’

એટલે આજ આપણી વચ્ચે ગઝલ લઈને આપણા દિલને અડકી જવા આવ્યા છે.

“હું ક્ષણોના મહેલમાં જાઉં અને

કોઈ દરવાજો કરી દે બંધ તો….”

ચિનુભાઈ ટોરોન્ટોની ગઝલપ્રિય શ્રોતાઓના આ હોલમાં ચારે બાજુ દરવાજા ખુલ્લા છે, આવો ગઝલોની મહેકથી મહેકાવી દો…    જય ગજજર

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers