શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશીગ
શયદા એટલે ગઝલ—ઉમાશંકર જોશી
કવિ શ્રી ‘શયદા’નું 30-5-1962ની રાતે 65 વરસની ઉમરે અવસાન થતાં ગુજરાતી ભાષાએ એક લાડીલો કવિ અને લોક પ્રિય સાહિત્યકાર ગુમાવ્યો છે.
શ્રી શયદાએ અત્યાર સુધીમાં આપણે ત્યાં ગઝલને પગભર કરવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે.મસ્ત, બાલ, દેરાસરી, મણિલાલ નભુભાઈ, કલાપી, ગોવર્ધરામ, ન્હાનાલાલ આદિ કવિઓએ ગઝલની ઉત્તમ કૃતિઓ આપેલી છે.પણ રદીફ-કાફિયા સાચવીને દરેક શેરનું મૌકતિક સ્વરૂપ જળવાય એ રીતની ગઝલો છેલ્લા પચાસ વરસમાં મુસલમાન કવિ બંધુઓએ આપી અને અત્યારે અનેકને હાથે એ કાવ્ય પ્રકાર ખેડાય છે.શયદા એ સૌમાં અગ્રિમ સ્થાનન અધિકારી છે.હવે એ પ્રકાર ગુજરાતી સાહિત્યમાં સ્થિર થઈ ચૂક્યો છે.કેમકે એમાં શયદા જેવાએ પોતાનું હીર રેડ્યું છે.
ગિરા ગુર્જરી ! આ નથી શેર મારા,
હ્રદયના છે ટૂકડા હું ચરણે ધરું છું.
અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં એક નિર્ધન ખેડૂતને ઘેર એમનો જન્મ.નામ હરજી લવજી દામાણી.,1912માં ‘મુંબઈ સમાચાર’માંએમની પહેલી કવિતા ‘ હરજી લવજી દામાણી’ માસ્તર ધોલેરાવાળા એવા નામે છપાયેલી.
કેળવણી ચાર ચોપડી સુધીની.જીવન સંગ્રામ કપરો.ધીમે ધીમે ‘શયદા’ ને નામે જાણીતા થયા.વાર્તાઓ, નવલકથાઓ, નાટકો એમ અનેક સાહિત્ય પ્રકારો એમણે અજમાવ્યા છે.‘મા તેમા‘ નવલકથા ખૂબ લોકપ્રિય થયેલી.’ કુમળી કળી’ નાટક રંગ ભૂમિ પર જામેલું.’ ‘બે ઘડી મોજ’ સાપ્તાહિક પણ શયદાએ વર્ષો સુધી ચલાવ્યું.પણ એમની મુખ્ય શક્તિ ગઝલકાર તરીકેની.ભાષાની સાદગી અને સચોટતા, ભાવની સુરેખતા અને રચનાની સહજ છટા વડે એમની ગઝલો જુદીજ ભાત પાડે છે.કેટલીક વાર એમના શેરમાં ચતુરાઈને લીધે ચમત્કૃતિઆવે છે.
મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.
શયદા પોતે ગઝલનો પાઠ પણ ખૂબ ભાવવાહી રીતે કરતા.1953માં ‘ બે ઘડી મોજ’ ની ઑફિસમાં શ્રી શયદાની સંગતમાં ભાઈ ‘આસિમ’ રાંદેરી, સદગત કવિ ‘નસીમ’ આદિને મળવાનું થયું.શ્રી શયદાને મળો કે શેર છૂટેજ .(ફોન ઉપર પણ એક બે શેર તમને મળે)ભાઈ શ્રી ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ અને મારી ઉપર એમની ખાસ પ્રીતિ.ઉમંગથી સંભળાવે ને નજાકતોથી વાત કરે.(‘બનાવે’ વાળો શેર એ રીતે સાંભળવા મળેલો.)મુશાયરામાં શયદાની કવિતા પાઠની છટા સૌથી જુદી તરી આવે.એક પંક્તિમાં નાનાં નાનાં વાક્યોના કે શબ્દ સમૂહોના ટૂકડા પડતા હોય, વાત કરતા હોય એમ શેર રમતા મૂકે.’સાઠનો થયો’ કરતા એક વખત અમદાવદમાં મારે ત્યાં શ્રી હકીમસાહેબની જોડે આવી પહોંચ્યા.દિલ ભરીને કવિતા સંભળાવી.
વારંવાર હું વિનંતી કરતો રહ્યો કે તમારી ચૂંટેલી કૃતિઓનો દીવાન આપો..સોએક કૃતિઓ એવી રીતે આપવાની વ્યવસ્થા ચાલે છે, એમ એમણે કહ્યું.સંપાદન કરીને કોઈએ શયદાની ઉત્તમ કૃતિઓ આપવી જોઈએ.
એ કહી ગયા છે –
મેં ગઝલ મરતાં સુધી મૂકી નથી
ચ્હાય તેવા હાલ શયદા થઈ ગયા.
ગુજરાતની ગઝલ સાથે શયદાનું નામ જોડાયેલું રહેશે.
(હૃદયમાં પડેલી છબીઓ 1)
નોંધ:શ્રી શયદાના નિ:ધન(1962) સમયે આ લખાયેલો લેખ છે.
શયદાનો ગઝલ ગુલઝારની પ્રથમ આવૃત્તિ 1999માં પ્રકટ થયેલી.એમાં શયદાની ચુનંદા રચનાઓ આપવામાં આવી છે.
શ્રી શયદા પ્રકાશને એમની ઓગણીસ શ્રેષ્ઠ રચના પ્રકટ કરી છે.
1-હમીદા
2-અમીના
3-મોટી ભાભી
4-ભર દરિયે
5-સંસારની શોભા
6-અમી ઝરણાં
7-પુનિત ગંગા
8-માતે મા ભાગ 1
9 મા તે મા ભાગ 2
10 અનવરી
11- લયલા
12 રાજબા
13 અંધારી રાત ભાગ 1
14 અંધારી રાત ભાગ 2
15 આઝાદીની શમા ભાગ 1
16 આઝાદીની શમા ભાગ 2
17 દેવદુલારી ભાગ 1
18 દેવદુલારી ભાગ 2
19 છેલ્લી રોશની ભગ 1
20 છેલ્લી રોશની ભગ 2
આપના પ્રતિભાવ