
ગુજરાટી ભાસા જીવહે?– નિર્મિષ ઠાકર
મને પંડિતો અને જ્ઞાનીઓની એલર્જી છે, એટલે મને ગનપટ હુરટી સાથે સારું ફાવે છે. હમણાંથી સામયિકોમાં પ્રેરણાદાયક લેખો અને કાવ્યો ઓછાં છપાતાં હતાં. એમના પર ‘ગુજરાતી બચાવ ઝુંબેશ’ ફરી વળી હતી. એક ડૉકટર પોતાની દવા ખાઇ મરવા પડેલા, એના સમાચારની પાસે છપાયેલા, આ ઝુંબેશના સમાચાર મેં છાપાંમાં વાંરયા, પછી થયું કે કોઇ લાયક સાક્ષરનો સત્સંગ હવે કરવો જ પડશે, એટલે હું ગનપટ હુરટીને ત્યાં તરત જ પહોંચી ગયો. મને તો મારી કોલમની ચિંતા, કે ગુજરાતી ભાષા જો મરી જાય, તો મારે લખવાનું શેમાં? (મારું તો ઇંગ્લિશ પણ ઊઝા જોડણી’ જેવું છે, એટલે પ્રભાવિત થવાનું નાટક બધાં કરે પણ એને સ્વીકારે કોઇ નહીં!)
‘ગણપતભાઇ, શું ગુજરાતી ભાષા જીવશે?’ મેં અધમુવા અવાજે પૂછ્યું.
‘જીવવા ડેહો, ટો જીવહે!’ એણે સિગારેટ સળગાવતાં કહ્યું.
‘આ જવાબ કહેવાય? પોપટ પાસે ચિઠ્ઠી ખેંચાવતા જયોતિષી જેવી વાત ના કરો યાર!’ હું ખેંચાયો.
‘નિમ્મેસભૈ, હાજા આડમીને બી એની મરવાની વાટો બોવ નીં કરાય, નૈં ટો એ બી ગભરાઇને માંડો પડે, ને મરી બી જાય! ગુજરાટી ભાસાને બચાવવા, મેં બી ઘનું વિચાયરું છ. ટમે આ વાંચો, બસ વાટ પૂરી!’ કહી, જેને કોઇ કાકોયે જાણતો નથી એ સુરતી ઇન્ટરનેશનલ મેગેઝિન ‘ટાજા ગોટારા’નો તાજો અંક એણે મને ઝલાવ્યો. એમાંનો એનો લેખ ‘ગુજરાટી નીં મરહે’ વાંચીને મને ઊઝા જોડણીના ‘ઊ’ જેવું અડધું બગાસું આવ્યું. પૂરું ન આવ્યું, એથી બેચેની વધી. (માટે જ કહું છું કે દીઘર્ને બદલે લઘુ માત્રા ના ચાલે!) ગનપટ હુરટીના ભાષા અંગેના મુદ્દાઓને હું મારી રીતે અહીં મૂકું છું.
૧. સુરતી બોલીના ઉચ્ચારો જ શ્રેષ્ઠ છે. જે નકામા મૂળાક્ષરો છે, તે એમાં પહેલેથી છે જ નહીં. માટે જોડણીકોશો એ પ્રમાણે સુધારી નાખવા.
૨. શબ્દો હોય કે અપશબ્દ, એનું પ્રત્યાયન થવું જોઇએ (જે ખુદ ‘પ્રત્યાયન’માં થતું નથી.) એટલે કે સામાવાળાને વાત સમજાવી જોઇએ. ઉઘાડી ગાળ તમે ગમે તે જોડણીમાં સામાવાળાને દેશો, તો એ તમને ફટકારશે જ. તાત્પર્ય એ જ કે ‘પ્રત્યાયન’ થવું જોઇએ, જોડણી અગત્યની નથી.
૩. જોડણી કરતાં આપણે વધુ અગત્યના છીએ. તમે પીવા માગો છે કે ઝાલવા માગો છો- એની તમને ખુદને જો ખબર હશે (હોવી જ જોઇએ!) તો ‘પાણી’ને બદલે ‘પાણિ’ લખાયું હશે, તો પણ ગોટાળા નહીં જ થાય.
૪. ‘નિર્મિશ’ને બદલે ‘નિમ્મેસ’ લખાય તો ચાલે, પણ એમના જેવા ‘ભાષા’ને બદલે પોતાની કોલમની ચિંતા કરવાવાળા આપણી ભાષાને જરૂર ડૂબાડશે, માટે એ ના ચાલે! એવાઓને ડૂબાડશો તો ભાષા નહીં ડૂબે.
આ અસહ્ય મુદ્દા પછી હું ગનપટ હુરટીના શબ્દોનું વધુ ‘પ્રત્યાયન’ નહીં થવા દઉ. હું એના વિચારો સાથે સંમત નથી, માટે. તમને જો ભાષાની ખરેખર ચિંતા હોય તો મારું આ સોનેટ વાંચો, શીર્ષક છે ‘મારી ભાષા’.
શું ડૂબશે એ બસ ના વિચારો!
આકાર નોખો દીસતો ભલેને,
નૌકા પ્રવાહે તરતી રહી છે!
એથી જ ભીનો જડશે કિનારો!
તાજાં સલિલે રમતો રહું છું,
આહ્લાદ એનો અડતો રહે છે!
એ માત્ર રૂપો નવલાં ધરે છે.
ભાષા નદી છે, તરતો રહું છું!
શું બંધનો નાહક હોડીઓને?
શું ‘અલ્પતા’ને અહીંયાં ‘અતિ’ શું?
શુ સ્રોત એનાં? બનતી ગતિ શું?
એ શોધવા દો બસ જ્ઞાનીઓને!
મારી ભલે બેશક રેતની છે
દેરી તટે છે, અર્થાત્ હું છું!
મિત્રો, મારા ડૂબ્યા પહેલાં ભાષા નહીં ડૂબે, ‘બસ વાટ પૂરી!’
ખુબ મજા આવી…ગુજરાતી બચાવનારાઓનો ફાંકો કેટલો બધો હોય છે…તે ભાષાને નામે પોતાને ખુબ જ મોટા ગણાવનારાનો તોટો નથી…એક બાજુ ભાષા મરે તેવું કહેતા ય અચકાતા નથી..શરમાતા નથી…
By: Dilip Gajjar on 03/01/2009
at 12:28 PM
saras
By: sursamvaad on 03/02/2009
at 5:59 AM
nice
By: Mukund Desai - 'MADAD' on 03/02/2009
at 11:55 AM
nice article from nirmishuncle……
By: Pinki on 03/06/2009
at 6:16 AM
fine
By: amin azad on 11/05/2011
at 4:17 AM