Posted by: bazmewafa | 02/14/2009

આસીમ રાંદેરી નામના શબ્દના સૂરજને સુરતી કવિઓએ આપેલી શબ્દાંજલિ..સંદેશ .

આસીમ રાંદેરી નામના શબ્દના સૂરજને સુરતી કવિઓએ આપેલી શબ્દાંજલિ...

 

ગઝલમાં શ્રેષ્ઠ પ્રદાન માટે વલી ગુજરાતી એવોર્ડ મેળવનાર સુરતની શાન સમા ૧૦૪ ર્વિષય ગઝલકાર આસીમ રાંદેરીની. તેઓ સદેહે ભલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હોય પણ શબ્દદેહે તેઓ હંમેશા આપણા શ્વાસમાં ધબકતા રહેશે. આસીમસાહેબને શબ્દાંજલિ આપતાં શહેરના પ્રતિષ્ઠિત કવિઓએ દિલ ખોલીને ગોઠડી માંડી હતી.

એમણે ગઝલને શિષ્ટ બનાવીઃ રઈશ મણિયાર

જાણીતા ગઝલકાર ડો. રઈશ મણિયારે જણાવ્યું હતું કે આસીમસાહેબ ૧૦૪ વર્ષની સમૃદ્ધ જિંદગી જીવી ગયા છે અને શરીરે એમનો ધર્મ બજાવતાં તેઓ કાળધર્મ પામ્યા છે એનો શોક ન કરી શકાય. એમના શબ્દો દરેક યુવા હૃદયની ધડકન બની ગયા છે જે અમર છે.

રઈશભાઈ કહે છે કે ગઝલને ઉર્દૂ અસરમાંથી મુક્ત કરનાર કવિઓમાં આસીમ રાંદેરીનો બીજો ક્રમ આવે છે. શયદા પછી એમણે ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જે રીતે જાણીતા ઉર્ર્દૂુ શાયર અખ્તર શિરાનીએ સલમા નામના સ્ત્રી પાત્રને ઉદ્દેશીને ગઝલો રચી હતી એવી જ રીતે આસીમ રાંદેરીએ પણ લીલા નામના સ્ત્રી પાત્રને પોતાની ગઝલનો મહત્ત્વનો હિસ્સો બનાવ્યો હતો.

એમણે પોતાના નિષ્ફળ પ્રણયને પણ સાહિત્યનું રૃપ આપીને જીવનને એક નવી દિશા આપી હતી અને ગઝલ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. રઈશભાઈ પોતાના જીવનની યાદગાર ક્ષણો વર્ણવતાં કહે છે કે એમણે માત્ર ૧૮ વર્ષની વયે પ્રથમવાર આસીમ રાંદેરી સાથે એક જ મંચ પરથી પોતાની ગઝલો રજૂ કરી હતી. એ સમયે આસીમ રાંદેરીની વય ૮૧ વર્ષ હતી.

ગુજરાતી ગઝલના ગ્રાંડ ઓલ્ડ મેન ગયા : ભગવતીકુમાર શર્મા

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા કહે છે કે આસીમ રાંદેરી એ ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહ હતા અને એ ગઝલનો સુવર્ણકાળ હતો.

મુશાયરાઓમાં એમની વિશિષ્ટ શૈલીને કારણે તેઓ હંમેશા છવાયેલા રહેતાં. તેઓ જ્યારે મંચ પરથી તરન્નુમમાં વિરહની વેદના નિતરતી રંગીન શાયરી રજૂ કરતાં ત્યારે દરેક શ્રોતાને એ પોતીકી લાગતી. તેઓ હંમેશા સૂટ, બૂટ, ટાઈથી સજ્જ થઈને પર્ફ્યુમથી મઘમઘતાં મંચ પર આવતાં પણ એમનામાં મન, હૃદય અને આત્માની આગવી ખુશ્બુ હતી. એમણે આપેલાં ત્રણ કાવ્યસંગ્રહોમાં લીલા, શણગાર અને તાપીતટેનો સમાવેશ થાય છે.

આસીમસાહેબના પ્રેમકાવ્યો જ એમની ઓળખ છે : મુકુલ ચોક્સી

જાણીતા ગઝલકાર ડો. મુકુલ ચોકસી કહે છે કે એમણે અત્યાર સુધીમાં જેટલા ગીત-ગઝલ લખ્યાં છે એમાંથી ૯૦ ટકા રચના પ્રણયરંગે રંગાયેલી છે અને આસીમસાહેબે પણ મોટાભાગનું ખેડાણ પ્રણયરંગે રંગાયેલી ગઝલો લખવામાં જ કર્યું છે અને એથી જ આસીમસાહેબ મારા પ્રિય કવિ છે. એમની ગઝલ અંગેની ફિલસૂફી રજૂ કરતાં મુકુલભાઈ કહે છે કે તેઓ મહાકાવ્ય જેવું ભારેખમ સાહિત્ય રચવાને બદલે હાલરડાં જેવી સામાન્ય છતાં દેશની પ્રત્યેક માતાના કંઠે ગવાય એવી જીવંત કૃતિ રચવા માંગતા હતા અને એથી જ એમણે પ્રણય રંગે રંગાયેલી ગઝલો લખીને યુવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

મુકુલભાઈ કહે છે કે એમણે તો આસીમસાહેબને એમના જીવનના છેલ્લા દોરમાં જ સાંભળ્યા છે. એમની ગઝલ આઝાદીની ચળવળના સમયે લખાઈ હોવાથી એમાં ખાદીનો ઉલ્લેખ પણ જોવા મળે છે. વર્ષો પહેલાં કવિની મુફલિસ તરીકેની છાપ હતી પણ આસીમસાહેબે એ છાપ દૂર કરી છે. મુંબઈની સંસ્થા આઈએનટી દ્વારા શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં મુશાયરો યોજાયો ત્યારે ૧૦૧ વર્ષની જૈફ વયે પણ આસીમસાહેબે પોતાની રંગીન તબિયત દર્શાવતો શેર રજૂ કરીને શ્રોતાઓની દાદ લૂંટી હતી. એમનો એ શેર ખૂબ જાણીતો છે : જવાની ગઈ છતાં પણ એ જીવન શણગાર લાગે છે, કળી કરમાઈ ગઈ છે છતાંયે ખુશ્બુુદાર લાગે છે.

ગુજરાતી ગઝલ સૂની થઈ ગઈ : ગૌરાંગ ઠાકર

હાલમાં પોતાના ગઝલસંગ્રહ મારા હિસ્સાનો સૂરજ માટે ગુજરાત રાજ્યનો પ્રતિષ્ઠિત ગણાતો ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર યુવા કવિ ગૌરાંગ ઠાકર કહે છે કે આસીમચાચા સાથે એક મંચ પરથી ગઝલનું પઠન કરવું એ સન્માન ગણાય. આસીમચાચાએ કંકોતરી નઝમ દ્વારા યુવા હૈયાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સુરતના રાંદેર ખાતે ગુજરાતી ગઝલનો પ્રથમ વિધિવત મુશાયરો વર્ષ ૧૯૩૩માં યોજ્યો હતો, જેમાં રતિલાલ અનિલનો ફાળો પણ મહત્ત્વનો ગણાય છે. ગૌરાંગ ઠાકર કહે છે કે એમની ગઝલની સફળતા એમના શબ્દોની સરળતામાં હતી. એમને મુંબઈની આઈએનટી સંસ્થા તરફથી કવિ કલાપી એવોર્ડ મળ્યોે છે એ સુરતી તરીકે આપણું પણ ગૌરવ કહી શકાય.

આસિમ રાંદેરીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ

સુરત : ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્મા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર- ગઝલકાર આસિમ રાંદેરીના દુઃખદ નિધન અંગે ઘેરા શોક અને ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ૧૦૫ વર્ષની જૈફ વયે અવસાન પામેલા સ્વર્ગસ્થ આસિમ રાંદેરીને શ્રદ્ધાંજલી પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, ગુજરાતી સાહિત્ય અને ગઝલને ઉચ્ચત્તમ કોટિએ લઇ જવાની દિશામાં આસિમ રાંદેરીએ આપેલું યોગદાન ગુજરાતી સાહિત્ય જગતમાં સદાય અવિસ્મરણીય રહેશે. વળી ગુજરાતી એવોર્ડથી સન્માનિત સ્વર્ગસ્થ રાંદેરીની વિદાયથી ગુજરાતી સાહિત્ય અને ગઝલ જગત રાંક બન્યું છે. તેઓને ગુજરાતી સાહિત્યમાં અનેક ગઝલ સંગ્રહો લખનાર સ્વ. આસીમ રાંદેરીને શાયર વલી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય જગતે એક જુની પેઢીના ગઝલકારને ગુમાવી દીધો છે.

(સૌજન્ય સંદેશ તા.6ફેબ્રુ.2009)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers