મારી પ્રિય ગઝલ_ અહમદ મકરાણી
શ્વાસો ઉપાડી કોણ સતત થાય છે ફરાર?
આ જિંદગીનો પાળવો કેમે કરી કરાર.
હા,ડાળખી-ઘટના બની સુક્કી ડિબાંગ પણ,
કે મૂળમાં સીંચી હતી હતી લાખો અમે બહાર.
શૂળી ઉપર જ્યાં ચેનથી સૂવાની ટેવ છે,
ફૂલો તની સેજે હવે મળશે નહીં કરાર.
આ વેદનાથી કોઇ છૂટકારો નહીં મળે,
લો,આપને મળતા નથી તો એ મળે ધરાર.
કેવી જગ્યાએ તું મને લાવ્યો ખુદા અહીં?
જ્યાં રાતનો ના અંત હો , ને ના પડે સવાર.
પગલું થયો,કેડી થયો, ને આખરે સડક
અરમાન કેરા કાફલા જ્યાં થાય છે પસાર.
કોઇ શાયરે કહ્યું છે:
‘તંગ દામન, ગુલ બે હિસાબ,
ઇંતેખાબ,ગુલચીં ઇંતેખાબ
બાગમા પ્રફુલ્લિત અસંખ્ય ફૂલોમાંથી એકની પસંદગી કરવાની હોય એ પળે જેવી મીઠી મૂંઝવણ
થાય,એવીજ મૂંઝવણ વચ્ચે મુકાયેલી હું ઉપરોકત ગઝલને ‘મારી પ્રિય ગઝલ’ ગણું છું.
પ્રથમ શે’રમાં આ ક્ષણ ભંગુર જિંદગીના સ્વીકાર અંગેનું ચિંતન વ્યકત થયું છે.ગમે તેવા સંજોગો વચ્ચે પણ આપણે જિંદગી જીવવાનીજ છે , એવો જાણે કરર થયેલો છે.
બીજા શે’રમાં ગમે તેવા વિકાસનાં પાયામા જબર જસ્ત પુરુષાર્થ રહેલો હોય છે. એ સામાન્ય સત્યની રજૂઆત થયેલી છે.જે પાયાના પથ્થર હોય છે એની ઘણી વાર અવગણના થતી હોય છે ત્રીજા શેરમાં દુ:ખથી ટેવાય ગયેલા માનવની મનોવેદના વ્યકત થયેલ છે. ગાલિબ પણ કહે છે-
રંજસે ખુગર હુઆ ઇંસા તો મિટ જાતા હૈ રંજ
મુશ્કિલે ઇતની પડી કે મુજ પર આસાં હો ગઇ.
ચોથા શેરમાં વેદના સાથેનો માનવનો અતૂટ નાતો રજૂ થયો છે.વેદનાની ધરારી એ માનવની નિયતિ છે. ‘ આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે’
ઘન ઘોર અંધકારથી ત્રસ્ત માનવ માની બેસે છે કે આ રાત્રિનો કોઇ અંત નહિ હોય.ઘન ઘોર નિરાશાને વ્યકત કરતો પાચમો શેર નિજ જિવનની હતાશાની પળોને આબાદ રીતે વ્યકત કરે છે.
અતિમ શેરમાં અરમાનોના કાફલા વચ્ચે જીવતા માનવનું પ્રતીકાત્મક આલેખન થયું છે.માનવની ઇચ્છાઓ અનંત છે,એીનો કોઇ છેડો નથી.
‘બહુત નિકલે મેરે અરમાં ફિરભી કમ નિકલે’
__અહમદ મકરાણી
(મારી પ્રિય ગઝલ*સં.અઝીઝ ટંકારવી ના સૌજન્યથી)

કેવી જગ્યાએ તું મને લાવ્યો ખુદા અહીં?
જ્યાં રાતનો ના અંત હો , ને ના પડે સવાર.
વાહ! સુંદર શેર.
By: razia786 on August 21, 2008
at 6:31 am
ek sundar gazal ………maja aavi
By: naraj on August 28, 2008
at 10:53 am
FANTASTICS
By: PRAKASH on September 20, 2008
at 12:34 pm