Posted by: bazmewafa | 06/21/2008

કવિ વિ. આમ આદમી

 કવિ વિ. આમ આદમી

 

કવિ હોવું એ કૈંક વિશેષ મનાયું છે. જૂની ફિલ્મોમાં પણ કવિનું એક ખાસ પાત્રચિત્રણ રહેતું. ભાગ્યે જ કોઈ કવિ સુખી હોતા. કવિ હોવું અને દુઃખી હોવું એ એકબીજાનો પર્યાય ગણાતું. કવિ હોય અને પ્રેમમાં નિષ્ફળ ન હોય એ બને જ કેમ? હવે જેની કવિતા બીજાના પ્રેમમાં ઉપયોગી થાય, જેની સંવેદનશીલતા બીજા કરતાં અનેકગણી વઘુ હોવાનું મનાય, એ જ વ્યક્તિ સંવેદનાના ક્ષેત્રમાં નિરાશા મેળવે! કવિતા કરવી હોય તો હતાશાનો જ અનુભવ હોવો જોઈએ. કવિ પ્રસન્ન હોઈ જ ન શકે! એવું ચિત્ર ફિલ્મોએ ઊભું કર્યું અને સમાજે સ્વીકાર્યું.

કવિને એનો ફાયદો એક જ થયો કે એને કારણે એને લોકો પોતાનાથી અલગ માનવા લાગ્યા. સામાન્ય માનવી પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી પણ બીજે પરણી, પ્રસન્ન દામ્પત્ય આનંદે અને કોઈ વાર પ્રેમને યાદ કરી લે. એને એમ થાય કે આવી જ પરિસ્થિતિમાં આ કવિ કેવું પ્રામાણિક જીવે છે! હતાશ થયો છે તો નિરાશામાં દુઃખી દુઃખી થતો જીવન જીવી જાય છે. એની આ જીવનશૈલીને કારણે સામાન્ય માનવીને કવિ અસામાન્ય લાગે છે. ેના મનમાં કવિ માટે માન પણ જાગે છે તો કવિની અવ્યવહારુ જીવન દ્રષ્ટિ પર હસવું પણ જાગે છે.

એ જે હોય તે, પણ કવિ સમાજમાં સદાય કુતૂહલનો વિષય તો રહ્યો જ છે. સમાજ કવિના પ્રત્યાઘાત સાંભળવા આતુર હોય છે. એને કવિ પાસેથી અનોખી અભિવ્યક્તિની અપેક્ષા હોય છે. સામાન્ય માણસને કાંટો વાગે ત્યારે એ ચીસ પાડે છે. કાંટો વાગે ત્યારે તો કવિ પણ ચીસ જ પાડે છે. પણ પછી એનું ચિંતન ચાલુ થાય છે. અને કવિની ચીસ, સમષ્ટિની પીડાને વ્યક્ત કરતી કવિતા બને છે. કવિ એ રીતે અસામાન્ય છે. અને એટલે જ એ આદરને પાત્ર છે. દાળમાં મીઠું વધારે પડ્યું હોય તો તમે પત્ની પર ચિડાવ છો. કવિ પણ ચિડાય તો છે જ, પણ પછી મીઠું વઘુ પડવાના કારણમાં એ ઊંડો ઊતરે છે. પત્નીની માનસિકતાને ઓળખવા-સમજવા મથે છે અને એટલે જ, એ પત્નીની ક્ષમા તમારા કરતા વહેલી માંગે છે. (તમારે ય માંગ્યા વગર તો છૂટકો નથી જ હોતો! મન વગર પણ માંગવી તો પડે જ છે ને!) કવિમાં શક્તિ હોય છે. અન્યના મનમાં પ્રવેશવાની, અન્યના મનોભાવોને પામવાની. એટલે જ ક્યારેક કોઈ કવિતા વાંચતી વખતે તમને લાગે છે કે અરે! આ તો મારા મનની જ વાત છે! આ કવિને ક્યાંથી ખબર? સમ સંવેદન એ કવિને મળેલું વરદાન છે અથવા શાપ છે. કવિ દૂબલે ક્યૂં તો કહે કે સારે ગાંવ કી ફિકર! દુઃખ આવે તે પહેલાં દુઃખની સંભાવનાનો વિચાર કરી કરીને ય કવિ દુઃખી થઈ શકે! બીજી વ્યક્તિ છેક દુઃખ આવે ત્યારે દુઃખી થાય છે. સંવેદના સમૃદ્ધ કવિ અન્યથા ગરીબ હોવાનું કારણ જ આ છે. પોતાના હકના પૈસા માંગતી વખતે ય એ આપનારની મનઃસ્થિતિ વિષે વિચારે છે!

કવિ અતિ સંવેદનશીલ છે. તાર ખેંચીને વગાડવા માટે સુરમાં મેળવેલી સિતાર જેવું તંગ ચિત્તતંત્ર છે. આંગળીથી રણકી શકે એ તાર પવનની લહેરખીથીય ઝણકાર જન્માવી શકે છે. કવિનું ચિત્તતંત્ર આત્યંતિક હોય છે, આક્રમક હોય છે, આવેશમય હોય છે, અજંપ હોય છે પણ સાથોસાથ અહિંસક પણ હોય છે. કવિ જાતને નુકસાન પહોંચાડે પણ અન્યને નહિ. ભીરૂ લાગવાની હદે એ નમ્ર હોય છે.

કવિ થવાના ફાયદા પણ છે. કેટલાક ખરેખર છે. કેટલાક લાગે છે. કવિતા પ્રત્યેની પ્રસન્નતા પુરુષો મુક્તપણે વ્યક્ત કરે છે ને સ્ત્રીઓ મુગ્ધપણે આ મુગ્ધાઓથી ઘેરાયેલો કવિ ઘણાની ઈર્ષ્યાને પાત્ર બને છે. પોતાનામાં એવું શું નથી જે આ કવિમાં છે એવો સવાલ પણ થાય છે પણ કવિમાં કૈં નથી, જે કૈં છે તે કવિતામાં છે. જો કવિ પણ આ સત્ય ન સ્વીકારે તો દુઃખી થાય. ૨૪ કલાક કોઈ કવિ હોતું નથી. રિક્ષાવાળા જોડે ઝગડો થાય ત્યારે કવિ પણ ઉશ્કેરાય છે. માત્ર ગાળોની બાબતે ક્યારેક એનું શબ્દ ભંડોળ થોડું ઊણું ઊતરે એવું બને.

કવિતાને ચાહતા ચાહતા એના કવિને ચાહવા લાગનારાના અનુભવ બહુ સારા નથી હોતા. કવિએ આવા ચાહકો સાથે બહુ જ જવાબદારીપૂર્વક વર્તવું ઘટે. એણે ચાહકની આ અપેક્ષા પર ખરા પણ ઉતરવાનું અને એનો આ ભ્રમ હળવેકથી દૂર પણ કરવાનો.

આમ તો જોકે આવી મુગ્ધાઓ પણ ઘણી વહેવારુ હોય છે. કવિ સંમેલનમાં કવિ પર વરસી પડ્યા પછી પ્રિયજન સાથે મોટરકારમાં રવાના થઈ જતાં એને આવડે છે. કવિ સભાગૃહના પગથિયે ઊભા ઊભા આવજોકરતા રહે છે. હવે મુગ્ધતા મુર્ખતામાં પરિણમી ચૂકી છે. કવિ એ ભૂલી ગયા છે કે ગાડીમાં જે ગઈ એની સાથે તમારી કવિતા ગઈ, તમે નહિ!

કવિતા વાંચી કે સાંભળીને મુગ્ધ થનારી સ્ત્રીના મનોજગતને તપાસો તો સમજાશે કે જેની પાસેથી એણે આવી સંવેદનશીલતા ઝંખી છે એ પતિ કે પ્રિયતમ અભિવ્યક્તિમાં ઊણા ઊતરે છે. એટલે જ એ આ કવિતા અને પછી કવિ પર પ્રસન્ન થઈ જાય છે. એને એની ઉવેળાઈ રહેલી લાગણીનો પડઘો પડતો લાગે છે. પણ વાસ્તવિકતા એ છે કે સામાન્યજન પાસે અભિવ્યક્તિ ન હોય એવું બને પણ અનુભૂતિ તો હોય જ છે. દાળમાં મીઠું વધારે પડે ત્યારે બગડેલી પરિસ્થિતિને સુધારી લેતા સામાન્ય પતિને પણ આવડે છે. માત્ર એની શૈલી જુદી હોય છે. એ આવી ખારી દાળ પાવાનું જ ટાળે છે, અથવા આ દાળમાં પાણી ઉમેરીને ઉપયોગમાં લઈ લે છે. નહિ તો બહાર જમવાનો કાર્યક્રમ બનાવી લે છે ને બહાર નીકળી શકવાનો યશ પત્નીને આપે છે. માત્ર પત્નીને રાજી કરવા બહાર આવ્યાનું બહાનું પત્નીને વઘુ રાજી કરે છે.

કવિતાને આમ તો આત્માની કલા કહી છે. પણ આ આત્માનેય ક્યારેક બાજુએ મુકવો પડે છે તો ક્યારેક વેચવા ય કાઢવો પડે છે. કવિતા અવતરે છે એ જો સાચું હોય તો આજ કવિતા ઓર્ડર પ્રમાણેય લખવી પડે છે. ને જે વેચાય છે, જેને કારણે પેટ ભરાય છે તે આ જ કવિતા છે. અવતરની કવિતાથી આત્માની ભૂખ સંતોષાય છે. ઓર્ડરની કવિતાથી પેટની ભૂખ ભાંગે છે.

કવિતાને જ પૂર્ણકાલીન પ્રવૃત્તિ માનનારા કવિને પરણવા ઉત્સુક યુવતી જ્યારે ઉત્સાહભેર પોતાની માને સમાચાર આપે છે ત્યારે મા પૂછે છે કે જમાઈરાજ શું કરે છે? પુત્રી કહે છે કે એ તો કવિ છે. ત્યારે વ્યવહારું માનો સવાલ આજ હોય છે. એ તો બરોબર, પણ આમ કરે છે શું ?

કવિ અને કવિતા વિષે સમાજ માન્ય પરિસ્થિતિ આ છે. અને વર્ષો પછી પત્ની જ્યારે પોતાની માતાના ૭૫મા વર્ષે પતિને કહે છે કે તમે મારી મા પર એક કવિતા ના બનાવો? ત્યારે કવિ મુંઝાઈ જાય છે. જીવનમાં પહેલીવાર સાસુ આગળ પોતાની પાત્રતા સિદ્ધ કરવાનો અવસર આવ્યો એ ખરું પણ, સાસુને કવિતાનો વિષય કઈ રીતે બનાવાય? કવિ મુંઝાય છે. પત્ની રિસાય છે. આ ક્ષણે જ કવિની સંવેદનશીલતા કામે લાગે છે. માતૃપ્રેમપરની, પોતાની માતાના સંદર્ભે લખેલી કવિતા પત્નીની માતાને નામે અર્પણ કરવાથી ભાવિ દામ્પત્ય સુખરૂપ થાય છે ને સાસુમા ધન્ય ધન્ય થઈ જાય છે. જમાઈના મનમાં પોતાના વિષેના ભાવ જાણીને, જમાઈ વિષે પોતાના મનમાં જે વિચારો હતા એ બદલ શરમાય છે! ઘરમાં રહેવું હોય તો કવિની આ કુશળતા જ એને બચાવી શકે. બાકી પત્ની સાથે એ ક્ષણે એવી ચર્ચા ન કરાય કે કારેલા લાવી શકાય, કવિતા તો આવે. ને જો આ કુશળતા ન દાખવે તો કવિને રાખે કોણ? ઉત્તમ પ્રણય ગીતોની પ્રેરણા પોતાની પત્ની જ છે એવું મોટી ઉંમરે પહોંચેલા કવિઓ કહે છે. કારણ કે એ પત્નીના ટેકે ટેકે જ કવિ સંમેલનમાં આવ્યા હોય છે. કવિ પત્નીને માથે જાતને જાળવવા કરતાં વઘુ મહત્વનું કામ કવિને જાળવવાનું છે. કારણ, કવિ રાષ્ટ્રિય સંપત્તિ છે ને જાહેર સંપત્તિ પર તો કોઈ પણ લીટા કરી જઈ શકે છે! સિલક વગરના ખાતામાંથી સતત ઉપાડ કરીને ઘર ચલાવવું એટલે કવિનો સંસાર ચલાવવો.

લોકો કવિને દૂરથી ઓળખી શકે તે માટે ફિલ્મોએ ઉભું કરેલું ચિત્ર કવિને માટે નુકસાનકર્તા છે. કવિતાની બીકે લોકો રસ્તો ચાતરી જાય છે. કારણકે કવિતા બધા માટે નથી ને બધાં કવિતા માટે નથી હોતા. જોકે હવે આવા લેંઘો ઝબ્બો, દાઢી ને ખભે થેલો ભરાવેલા જ કવિ નથી રહ્યાં અને કવિતા સિવાયના વ્યવસાયને કારણે કવિ પણ આર્થિક રીતે સુખી થયા છે. પૈસાની દ્રષ્ટિએ બે પાંદડે અને સંવેદનાની દ્રષ્ટિએ ઘટાદાર હોય એવાય કવિઓ હવે જોવા મળે છે.

પણ તોય હજી કવિતા ભલે ગમતી હોય, કવિનો સ્વીકાર ઓછો છે. રજાઓમાં પ્રાકૃતિક સૌંદર્યથી સભર સભર વાતાવરણમાં મજા માણીને આવેલા ઘણા સંપન્ન લોકો પોતાની સમજણ સિદ્ધ કરવા કવિને કહે છે કે તમને ત્યાં અમે ખૂબ યાદ કર્યા. તમે હોત તો બે પાંચ કવિતા કરી નાખત! એમના મનમાં આમ તો ખેંચીઅથવા ઘસડીકાઢત જ અપેક્ષિત હોય છે પણ કવિ સાથે વાત કરતી વખતે સારા શબ્દો શોધી શોધીને વાપરવા એ મથે છે. કેમ જાણે કવિતા એ ભજીયાનો ઘાણ ન હોય કે ઉતારી લેવાય. કવિતા કૈંશાક નથી કે કરી નખાય. કવિ કોઈ વજન બતાવતું મશીન નથી કે સિક્કો નાખો કે ટીકીટ બહાર પડે! કવિતા સર્જન એ તત્ક્ષણ થતી પ્રક્રિયા જ નથી. દ્રશ્ય જોતાવેંત કવિતાની પંક્તિ જાગે અથવા નય જાગે. ઘણાં સમય પછી એ સંવેદના કવિતા બનીને ઊતરે એવુંય બને. ક્યારેક તો જે જોયું હોય તેનો પડઘો ક્યાંય ન પડે એવું ય બને.

પણ, આમ પોતે પ્રવાસનો આનંદ માણીને આવ્યા પછી કવિને કહેવા કોઈ પોતે જતા હોય ત્યારે કવિની સપરિવાર ટિકિટ કઢાવતાં નથી. આવું કરે એની સમૃદ્ધિ પણ સદ્ભાગ્યે વપરાય અને સાહિત્ય પણ સમૃદ્ધ થાય. પણ, કેટલાકને એવી ટેવ હોય છે કે અમુક જગાના દાળવડા બહુ સરસ આવે છે એમ કહેતાં રહે પણ કોઈ વાર એ દાળવડા બંધાવતા ન આવે!

કવિ અને કવિતા વિષેનું કુતૂહલ યથાવત રહે એમાં જ બંને પક્ષે લાભ છે. બાંધી મુઠી લાખની આ વાતમાં ના કહી શકાય કે નહિ તો એક બે ને સાડા ત્રણ.

 

(સૌજન્ય,કે લેખકશ્રીનું નામ શરત ચૂકથી  નોંધવાનું રહી ગયું હતું.કોઇ પણ સહયોગી ને એની ખબર હોય તો કોમેંટસમાં જણાવાવા વિનંતી છે)

 


Responses

  1. good


Leave a response

Your response:

Categories