તારાપણાના શહેરમાં __ જવાહર બક્ષી
જળનો જ જીવ છું ફરી, જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું ,પળમાં વહી જઈશ.
*
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં.
*
વિશ્વ ભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું.
*
તારો વિયોગ વીજળી થઇને પડી જશે
જ્યારે અજાણ્યાં વાદળો આપસમાં ભેટશે.
* આવાં મોતી જેવા સુંદર અર્થ સભર શે’રો લખનાર શ્રી જવાહર બક્ષી કવિતાના નગર જૂનાગઢના છે.19ફેબ્રુઆરી1947માં જન્મેલા આ કવિએ 1959 થી 2000 સુધી લખેલી700 જેટલી ગઝલોમાં થી આપણને 107 ગઝલનો રંગ દેખાડ્યો છે.સમયના ગર્ભમાં વિલય કરેલી ગઝોમાંથી પાછી થોડી બીજી ગઝલો પણ કવિતા રસિક ગુજરાતીઓનો માણવાનો હક શ્રી જવાહર બક્ષી માન્ય રાખશે, એવી આશા છે. આદિ કવિ નરસિંહ મહેતાના વંશજ જવાહર બક્ષીએ છંદોબધ્ધ ગઝલ લખવાની શરૂઆત કરી ત્યારે ઉમર માત્ર બાર વર્ષની હતી.શાળાના સામાયિકમાં નાની ઉમરે કાવ્યો લખી,પ્રસંશા મેળવી. 1964માં મુંબઈ સિડનહામ કોલેજમાં (બે.કોમ.સી.એ.) ના અભ્યાસ દરમિયાન ગઝલના મર્મ, છંદશાસ્ત્ર,કવિત્વ અને ગઝલ સૌંદર્યની નીપજવળી ગઝલો લખાઈ.મુંબઈના તે કાળના ધુંરંધર શાયરો મરીઝ,શૂન્ય,બેફામ,સૈફ પાલનપુરી વિ નો સપર્ક મળ્યો. અને તેમની પ્રિયતા પ્રાપ્ત કરી. એમની ગઝલોમાં તીવ્ર વિરહ,આધ્યાત્મિકતા ની અનુભૂતિઓ ,સંવેદન શીલતા,નાં તત્વો નીખરીને બહાર આવેછે. જવાહર બક્ષી એમની ગઝલ યાત્રા દરમિયાન જે જે સંજોગોમાંથી પસાર થયા એનો પરિપાક એમની ગઝલને મળ્યો છે. એમની રચનાઓમાં તગઝ્ઝુલ પણ છે અને તસવ્વુફ પણ છે.
સબ્ર અને ધૈર્યની પરાકાષ્ઠા તો એ છે કે (1959-1967)બત્રીસ વર્ષના લાંબા સર્જનકાળ પછી 2000માં આ પ્રથમ સંગ્રહ ગુર્જરીને પ્રાપ્ત થયો છે. એપ્રીલ1999થી 2000મે સુધી એની આંતરાષ્ટ્રિય અને ડીલક્ષ આવૃત્તિ સહિત ચાર આવૃત્તિ પ્રગટ થઇ ચુકી છે.
એમની થોડી ગઝલો ને પણ માણી લઈએં.
1 ક્ષિતિજ સુધી જઈને
પ્રસંગો પાંદડાન ઢગમાં બાળતા રહીએ.
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.
હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.
ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા રહીએ.
‘ફના’ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.
2 આ મુંગા શહેર માં
આ મુંગા શહેરમાં કોઇને કંઈ પુછાય નહીં.
ને લાગણીન ચહેરાઓ ઓળખાય નહીં.
હવા ધીમેથી ચલો કે નગર પુરાણું છે,
દીવાલ પરની સુગંધી ભુંસાઈ જાયા નહીં.
અહીં તો આપણે એ શબ્દની નિકટતા છે
કે જેને કાનમાં કહેતાંય સંભળાય નહીં.
હું શ્વાસના આ સબંધો ગલીમાં વેરી દૌં,
પણ આસપાસનું ધુમ્મસ તો વિખરાય નહીં.
અધૂરી ઊંઘનો જાદુ છે ઊંચકાય નહી
ને મુંગા ચહેરાથી તો આંખ પણ મીંચાય નહીં.
3 કુંડળી ગઝલ
(કબીર સાહેબની રજા સથે)
ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય
ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય.
ઘરનું ઘર થઈ જાય તો યે રહેનારો બે ઘર,
બિસ્તર બાંધી નીકળી જવું હોય નહિં નીકળાય.
જવું હોય નહિં કયાંય સાવ હવાની જેવું,
અમથું અમથું ચાલતાં ક્ષિતિજ સુધી જાય.
ક્ષિતિજ પાંસે જાય અને ઘર જેવું લાગે
ધરતી પૂંછે આભને આ માણસ કયાં જાય?
4 સર્વત્ર છું
કયાંયનો નહિ તો છતાં સર્વત્ર છું
કોઇ સરનામાં વિનાનો પત્ર છું.
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું.
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું.
જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું.
આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં
જયાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું.
Posted in પરિચય_જીવન*કવન